પૃષ્ઠ:Samarangan.pdf/૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.



નાગડાનાં કાંડાં પડી ગયાં, ચામડાં ચડી ગયાં.
નાગડો પડેલો: હાથીનાં પેટમાં હાથ. ‘આ કોણ ?’
જોળાળીનો! બીજાનાં ઘાનાં સાંધા મળે,
એના સાંધા ન મળે.

જોઈ શકશો કે ‘સમરાંગણ’ના સર્જન પાછળ આ જીજી બારોટે અને જેઠા રાવળે કહેલા ફક્ત એક જ પ્રસંગનું કેટલું તીવ્ર સંવેદન અને કલ્પન ચાલ્યા કર્યું છે. જેઠા રાવળે કહેલા આ બે પ્રસંગો એ કરુણ શૌર્યકથાના બે સમતોલ પલ્લાં છે: પહેલો પ્રસંગ માની પીઠે ઊભો રહીને માએ પાછળ નાખેલાં પયોધરે ધાવતા બાળની એનાં બાપને જ મોંએ રાજા જામે કરેલ હાંસીનો : ને બીજો પ્રસંગ મુગલ-ફોજ સામેના રણાંગણમાં પડેલા એ જ બાળના જોબનજોધ દેહની દશા દેખાડતો: એ દેહ પડ્યો હતો: એના કાંડાં-વિહોણા હાથની ઠૂંઠી અણીઓ એક મૂએલ હાથીના પેટમાં પેસેલી હતી, કારણ કે એણે અંબાડીઓ સુધી પહોંચીને સેનાપતિઓને હણવા હતાં કાંડાં કપાઈ ગયા પછી પણ ટૂંઠા હાથે ઠોંસા લગાવીને હાથીઓને માર્યા હતા – પછી એ પટકાયો હતો. યુદ્ધલીલા ખતમ થયા બાદ વિજેતા મુગલપતિ રણભૂમિ પર નિરીક્ષણ કરવા નીકળે છે ને હાથીના ક્લેવરને હાથના કાંડાં વડે ભેદનારો આ મહાવીર કોણ એવું વિસ્મય અનુભવે છે. ત્યારે જાણકાર જવાબ વાળે છે કે ‘આ જોળાળીનો’. રાજા જામે કરેલી હાંસીનો જવાબ એ બાળકે છેલ્લી પળે આપ્યો. મશ્કરી કરનાર નગરરાજ સતો જ્યાંથી જીવ લઈને ઘરભેળો થઈ ગયો હતો તે જ જુદ્ધમાં, મશ્કરી કરનાર રાજાએ પોતે જ નોતરેલા જુદ્ધમાં, એ મશ્કરીનું પાત્ર બનેલ માડીનો પુત્ર નાગડો પોતે વાંસે ઊભાં ઊભાં ધાવેલ ધાવણનો હિસાબ આપતો પડ્યો હતો.

‘સમરાંગણ’! તને હું નહિ ભૂલી શકું, એ ઘોર ઘટનામાંથી ફક્ત આ બે જ પ્રસંગોની જાળવણી કરનારા સોરઠી વાર્તાકારોમાં કલાદૃષ્ટિ ઊંચા પ્રકારની હોવી જોઈએ.

[‘પરકમ્મા’માં]
 
*
[11]