પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પહેલું ટીખળ
189
 

 “તમારે મા છે ? બાપ છે ? કોઈ છે, હેં દફેદાર ?”

“છે, નામદાર, પણ હું એમને ભૂલી ગયો છું. સિપાઈગીરી કરનારને એવી લાગણી કેમ પાલવે ? આપે તો એવી સિપાઈગીરીનો દાખલો બેસાર્યો છે.”

“એ તમને કોણ પૂછે છે ?” વજીર આ અર્થભરી વાણીથી ચમક્યા. “આવા સાધુરામ ક્યાંથી ભરાણા છે ફોજમાં ? બોલો, તમે હડિયાણાનો ગઢ સાચવીને બે દિવસ રહેશો ? મારે નગર જઈ આવવું છે.”

“જેવો હુકમ. પણ મુઝફ્ફરશા આવીને ઊભા રહે તો મારે શું કરવાનું છે તે ફરમાયેશ માગી લઉં છું.”

“શું કરવાનું છે એટલે ?”

“એને ઊતરવા દેવાના છે કે તગડી મૂકવાના છે ?”

“તગડી મૂકવાની વાત કરો છો, સાધુરામ ? સિપાઈગીરીનાં મોટાં બણગાં તો અબઘડી જ ફૂંકતા’તા.” વજીર ફરી વાર ખિજાયા.

“જામ બાપુની આજ્ઞા...”

“તમે અત્યારે મારી ફોજના અમલદાર છો, મારી આજ્ઞામાં છો, હું કહું તેમ કરો.”

“આપ કહો.”

“મેં કહ્યું નહિ ?”

“આપે હજુ તાબેદારને કાંઈ કહ્યું નથી.”

“પણ કહેવાની શી જરૂર છે ? સિપાઈ છો કે, સાધુરામ ? આશરે આવનારને તગડી મૂકવાની વાત કહેતાં લાજતા નથી ? હું રજા લેવા જાઉં છું. બે દિવસમાં મહેમાન આવી પડે તો ગુપ્તવેશે ધ્રોળમાં ભૂચર મોરીની ઝૂંપડીમાં રખાવજો. ભૂચર મોરી નામે ધણ ચારનારો છે. ગામના આથમણા ઝાંપા બહાર એનું ખોરડું છે. જાવ, બંદોબસ્ત કરીને તરત આવો. હું રાતોરાત નગર જવા ચડું તે પૂર્વે હાજર થજો.”

નાગડો દફેદાર જ્યારે ધ્રોળને માર્ગે પડ્યો ત્યારે એણે ભૂચર મોરી