પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
194
સમરાંગણ
 

 હું કાઠી છું.”

‘હું કાઠી છું’ એ શબ્દો બોલનારના થોભિયાના બેય અણીદાર કાતરા દૌલતખાનને જીવતા લાગ્યા. લોમા ખુમાણની દલીલો આગળ વધી : “એટલે આપણે તો બે વાત જોવાની છે, કે જામ પાદશાહ સાથે મેળ ન કરી બેસે. મેળ થયો કે તરત આખી કાઠિયાવાડની સૂબેદારીનો પટો એને મળ્યો માનજો. તેમ જ જામને જીતવા દીધો તો તો એ આપણી ધરતી ગડપ કરી ગિયો જ જાણજો.”

“સબબ ?”

“સબબ એટલો જ કે જામને આપણે ખતમ કરવો. દગલબાજી કરનારને દગાથી જ પહોંચી વળવું.”

“મારે કબૂલ છે.”

“તો ઉપાડીએ બેય જણા પોતપોતાના ઈષ્ટદેવની નિશાની.”

“હું કુરાન ઉપાડું છું.”

“હું સૂરજનું દેવસૂં લઉં છું.”

“હવે ઝટ બેય જણાએ જામનગર પહોંચવું જોવે. નીકર ક્યાંક સુલેહનું કહેણ મોકલી દેશે તો પછી બાજી હાથ નહિ રિયે.”

“આજ જ ઊપડીએ.”

“ને આ વખતે ય મુઝફ્ફરની સોનામોરુંના સાંઢિયા નગર માથે વહેતા થઈ ગયા છે, તેમાંથી પણ ભાગ લેતા આવીએ. ફોજ કાંઈ મફત ભેળી થાય છે ?”

બન્ને ભાઈબંધોએ જ્યારે નવાનગરમાં પ્રવેશ કર્યો ત્યારે બીજા પણ બે મહેમાનો આવ્યા સાંભળ્યા. કચ્છના રા’ ભારાજી અને જગતના (ઓખા મંડળના બેટ-દ્વારકાના) રાજ સંગ્રામ વાઘેર સાથે જામ સતાજી અને એના વજીરો સરદારો મસલતની બેઠકમાં હતા, એમાં સૌથી વધુ બુલંદ સૂર રાવ ભારાજીનો જ નીકળતો હતો. “પાદશા શું, પાદશાનો બાપ આવે ને, તોપણ જુદ્ધ તો કરવું, કરવું ને કરવું જ. હું ભેરે છું.”

“પણ મુઝફ્ફરશાને કાંઈ થાય તો ?”