પૃષ્ઠ:Samarangan.pdf/૨૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માતાના આશીર્વાદ
205
 

 “આજ નહિ, આખર કહીશ.”

ત્રીજે દિવસે જામનગરમાં નાગ અને રાજુલનાં લગ્ન થયાં. એકત્ર થયેલી ફોજની યુદ્ધ-સજાવટમાં આનંદ અને ઉજવણીનો, મોજ અને મશ્કરીનો એક જબરો પ્રવાહ આવ્યો. પરણી ઊતર્યા પછી કુંવર અજોજી દફેદારી દોસ્તને પ્રથમ બાપુની પાસે પગે લગાડીને પછી હડિયાણે જેસા વજીર પાસે લઈ ગયા.

વજીરે કુંવરને એકાંતે તેડાવીને અંતર ખોલ્યું : “જુવાનને જણાવશો ? હું એને મારે ખોળે બેસારવા માગું છું. મારે હવે વાંસે કોઈ નથી. રાજે આપેલું બધું ભોગવનાર કોઈ કરતાં કોઈ નથી રહ્યું. એને માથે મારું મન ઢળે છે.”

કુંવર તો ખુશખુશાલ બનતા નાગ પાસે દોડ્યા. વધામણી દીધે : “આખી હાલાર આનંદ પામશે. વજીરનું વાંઝિયાપણું મટ્યું. વીરતાનાં મૂલ મૂલવાણાં.”

નાગ બે હાથ જોડીને ઊભો રહ્યો. એટલું જ કહ્યું : “નહિ બની શકે.”

“પણ શા માટે ? આ નકાર કયા કારણે ?”

“કારણ બીજું કાંઈ નથી. મારે પણ કેટલા દિવસ ભોગવવાનું છે એ કેને ખબર ?”

કોઈ વાતે નાગે ન કબૂલ્યું.

વજીરની પાસે કુંવરે ના સંભળાવી ત્યારે એ બુઢ્‌ઢો આદમી એકીટશે જોતો જોતો કેટલી વાર સુધી બેસી રહ્યો. કશું જ બોલ્યા વગર એણે ફરી પાછા ફોજની ભરતી માટે ગામો ભમવા ઘોડો પલાણ્યો; ને એના એક કાનમાં એક ભણકારો બોલતો રહ્યો કે “તારું ઘરની તો ચણ્ય પણ ચકલાં નહિ ચણે.”