તે !” એમ કહીને એણે સામે પડેલા આયનામાં પોતાનું મોં બગાડ્યું : “ગુ-જ-રા-તી !!!”
ધોળકા ગામમાં પ્રભાતે બે લાશો પડી હતી : એક સૈયદ મીરાનની, અને બીજી એના લડાઈ-ઘોડા ‘દુલદુલ’ની. બન્નેનું મોત આગલી જ રાતે ઇતમાદે ગુજરાત પર ઉતારેલા બહારના શત્રુઓ મિરઝાઓની સાથેના યુદ્ધમાં થયું હતું. સૈયદે પોતાનો બોલ પાળી બતાવ્યો હતો. એના શબ ઉપર મુઝફ્ફર નહનૂ અદબ ભીડીને ઝૂક્યો હતો. મુઝફ્ફરની કલગીમાં આગલી રાતનો વિજય ફરકતો હતો. પણ આ એક મૃત્યુએ રાતના વિજયને મોંઘો બનાવ્યો હતો.
લાશને દફન કરવામાં આવી. અઢાર વર્ષનો સુલતાન એની કબર પર ફાતેહા પઢીને વળતી સાંજે જ્યારે ઊભો થતો હતો, ત્યારે એણે ગુસપુસ કશીક તૈયારીઓ થતી નિહાળી.
“શેરખાન ફોલાદી !” એણે ચકિત બનીને પૂછ્યું : “ક્યાં જાવ છો ? કેમ ઘોડે ચડો છો ?”
“સુલતાન ! રજા લઈએ છીએ. તમારું સ્થાન આંહીં ગુજરાતમાં જ છે.”
“શા માટે રજા લઈ જાવ છો ? આપણો તો વિજય થયો છે ને ?”
“અકબરશાહ આવી પહોંચ્યો છે. ગુજરાતી સલ્તનતનું જીવતું મોત આવેલ છે.”
“ક્યાં છે ?”
“પાટણ.”