પૃષ્ઠ:Samarangan.pdf/૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
73
સમરાંગણ
 


“કોણ લઈ આવ્યું?”

“ઇતમાદખાન. બસ, અલાબેલી સુલતાન, અમારાથી હવે ગુજરાતમાં જીવી શકાશે નહિ.”

"પણ મારાથી ?”

“મરી શકાશે.”

એટલું કહીને શેરખાને પઠાણી ફોજ લઈ પલાયન કર્યું. સુલતાન નહનૂ થોડી ઘડી એ દરગાહ પાસે થંભી રહ્યો. બે વર્ષો પરની એક રાત યાદ આવી. તે રાતે ‘નહનૂ’ને કોઈ છોડવા તૈયાર નહોતું. આજ રાતે નહનૂને કોઈ સાથે લઈ જવા તૈયાર નથી. એક અમીરે આવીને એને હેબતાવ્યો : “સુલતાન ! આંહીં ઊભા છો, પણ આ સૈયદકુળ પર તમારી છાયા પડે છે. એનું જડમૂળ નીકળી જશે. એને છોડો, ભાગી છૂટો.”

“સાચી વાત. હું હવે જ્યાં ઊભો રહીશ ત્યાં ઝાડ પણ લીલું નહિ રહે.” નહનૂ મુઝફ્ફરે ઘોડો પલાણ્યો. એની સાથે પંદર-પંદર રૂપિયાના પગારદાર રક્ષકો સિવાય કોઈ નહોતું.

“નામદાર !” હવાલદારે ચેતવણી આપી : “આમ, સોરઠ ભણી.”

“નહિ, ગુજરાતમાં જ.”

“ઇતમાદખાં...”

“ભલે આવે ધગધગતી સાણસી લઈને.”

યુવાને અમદાવાદમાં પહોંચીને ભદ્રમાં પ્રવેશ કર્યો. અમદાવાદમાં સૂનકાર હતો. એકેએક અમીર, નગરના લખપતિઓ ને કોટ્યાધીશો અમદાવાદ છોડી ગયા હતા. ફોજના સેનાપતિઓ પણ ૨વાના થયા હતા. સેનાઓ સાથે ચાલી ગઈ હતી.

“કયા માર્ગે ગયાં બધાં ?”

“પાટણને માર્ગે. અકબરશાહને શરણે.”

“મારા આવવાની પણ વાટ ન જોઈ ? વાહ તકદીર ! ફિકર નહિ. ચાલો સિપાહીઓ, ચાલવું છે પાટણને પંથે ?”

“મોતના મુખમાં ?”