પૃષ્ઠ:Sandeshika.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૧


ઓ ગુજરાત ! ઓ ગુજરાત !

(વીરવિજય છંદ[૧] )

જયજય મારા ગુર્જર વીરો !
આવો, રંક ફકીર અમીરો ! આજે દિવસ ઉગ્યો રળિયાત;
ધોધ પ્રકાશતણા ઝીલીને ઝગમગતી કરવી મ્હોલાત :
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !

આજે લેશો શું તમ સાથે ?
શૌર્ય વસે હૃદયે કે બાથે ? — તેજ છતાં બુઠ્ઠી તરવાર;
ફેંકી દ્યો સહુ બુઠ્ઠાં શસ્ત્રો, સજો હૃદયનાં નવહથિયાર !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !


  1. આ છંદની નવીન રચના વીરરસને અનુકૂળ આવે તેવી રીતે કીધી છે. ચરણાકુળ અને ચોપાઈનાં ચરણો મેળવતાં સવૈયા એકત્રીશા થાય છે. આ નવીન છંદનું પહેલું ચરણ ચરણાકુળનું, બીજું અને ત્રીજું ચરણ સવૈયાનું, તથા ચોથું ચરણ ઉધોરનું છે. એવી રીતે એક જ વર્ગના છંદોનો મેળ આ છંદમાં સ્વાભાવિકપણે થયેલો છે.