અનo— શું કહ્યું?
પ્રિયં૦— બોલ્યા કે મારૂં વચન અન્યથા થનારૂં નથી પણ વળી કહું છું કે ઓળખનું ઘરેણું તે જોશે કે તારી સખી શાપથી મુક્ત થશે.
અન૦— હવે જીવ હેઠો બેઠો; નચિંત રહેવું શકય છે. તે રાજર્ષિયે જતીવેળા નામાંકિત મુદ્રિકા સ્મરણને માટે શકુંતલાને પોતેજ પહેરાવી છે તે શકુંતલાની કને ઉપાય છેજ.
પ્રિયં૦— ચાલ હવે દેવકાર્યને જઈએ. (આગળ જઈ) સખી ! જો ડાબા હાથ પર મુખ ટેકવી ચિત્ર સરખી બેઠેલી છે, એને પોતાનુંજ ભાન નથી તો પછી અતિથિનું શેનું હોય !
અન૦— આ વાત આપણે બેએજ હૈયામાં રાખવાની છે; પ્રકૃતિયે કોમળ એવી પ્રિયસખીનું રક્ષણ કરવું.
પ્રિયં૦— કુમળી મલ્લિકા ઉપર ઊનું પાણી રેડે એવું તે કોણ હોય ?
શિષ્ય— પ્રવાસ કરી આવેલા ગુરૂ કણ્વે કેટલી રાત્રિ રહી છે તે જોવાની આજ્ઞા કરી છે તો જોઉ. (અહીં તહીં ફરી ઊંચે જોઈ ) રે વહાણું વાયુંછે !
આ તો પ્રભાત થયું દીસે ને રંગ દિશાનો ફરતો રે.–ટેક.
આ પાસાં તો અસ્તશિખરે ઔષધિપતિ ઉતરતો રે;
આપાસાં વળી સૂર્ય ઉગે તે અરુણને આગળ કરતો રે. –આતો૦
જુગલરૂપ એ તેજબિંબના અસ્તઉદયથી ઠરતો રે,
નિયમ લોક વહેવારનો જાણે દશાંતરે અનુસરતો રે. -આતો ૦ ૬૧
ચંદ્ર જાવે કુમુદ સ્મરણશોભા ધરે ના દિયે દૃષ્ટિને મોદ કોએ;
પ્રીતમ પ્રવાસનાં અબળ સ્ત્રીજનને દુસ્સહાં દુ:ખ અતિશેજ હોએ. ૬૨
અન૦— (પડદો ખસેડી-સ્વગત) વિષયની વાતથી દૂર છું, પણ આટલું તો સમજું છું કે તે રાજા શકુંતલા પ્રતિ અનાર્યપણે વર્ત્તે છે.
શિષ્ય— હવે હોમની વેળા થઈ તે ગુરુને જણાવું