પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૪

“ રાજહંસિની ! તું બાળક છે – સ્ત્રી જાત છે – પણ"

""गुणाः पूजास्थानं गणिषु न च गिङ्ग न च वयः ॥'

“રાજહંસિની ! ત્હારા દિવસ અહીં કેમ જાય છે ? વિશુદ્ધ પવિત્ર સુંદરી ! મલિન પવિત્ર દેશમાં તું ! અરેરે ! દિવ્ય ઉત્કર્ષભરી રાજહંસિની !

“ માનસ-સરમાં ઉછરેલી તું દિવસ કેમ અહીં ક્‌હાડે ? ( ધ્રુવ )
"સારસ[૧] શુદ્ધ તરે વિકસેલાં, અલિકુલ ગુંજાવા માંડે; માનસ ૦ ૧.
"માંડી ગુંજા એ સરી જાતાં સુરુભિ પરાગની માંહે,
“સુરભિ પરાગ કરે સુરભિ ખરી, પ્રસરે સલિલપ્રવાહે ! માનસ ૦ ૨.
“એ માનસસરમાં ઉછરેલી ! પડી અહીં તું આજ !
"મલિન દેડકાં ભર્યા જ ખાડામાં પડી હંસિની: હાય !
"માનસરારમાં ઉછરેલી ! તુજ દિવસ કેમ અહીં જાય ?”[૨]

“અરેરે ! સ્વાર્થમાં પરમાર્થ ડુબ્યો. ન્હોતી ખબર કે આમ થશે સરસ્વતીચંદ્ર ! બહુ ખોટું કર્યું ! ધૂળ્ પડી ત્હારી સરસ્વતીપર !"

ઉછળતા અંત:કરણે મગજને વીજળીના સંચાનો સ્પર્શ કરાવ્યો હોય તેમ આવેશવાળું મગજ થઈ ગયું અને એ આવેશમાં ને આવેશમાં ૨ઝળતો રખડતો પરદેશી વટેમાર્ગુ, નવીનચંદ્ર સુવર્ણપુરમાં - સુવર્ણપુરના અમાત્યના દીવાનખાનામાં, અંધારામાં મ્હોટી પથારીમાં,-ત્હાડે થરથરતો, ગોદડું હોડી ટુંટીયાંવાળી નિદ્રાવશ થઈ ગયો. અમાત્યના ઘરમાં સર્વ સુઈ ગયાં અને સુવર્ણપુર શાંત થઈ ગયું હોય એમ એ ઘરમાં લાગવા માંડ્યું. કુમુદસુંદરીનું શરીર શરીરના પતિ સાથે સુતું અને શરીર જોડે ઘસડાતું મન કિલષ્ટ નિદ્રા પામ્યું. અલકકિશોરી પરસાળની મેડીનાં બારી બારણાં વાસી પથારીમાં ચત્તીપાટ પડી, પગથી માથા સુધી હોડી, ઘોરણ બોલાવવા લાગી અને સ્વપ્નમાં “તું આાજ કેમ ત્યાં સુતી હતી” એમ બ્હીતો બ્હીતો પતિ પુછતો હતો તેને કાંઈ ચિંતાવગર ક્‌હેતી હતી કે “વારું – વળી ત્યાં જ સુતાં હતાં; ત્યાં ને અહીંયાં ! જ્યાં સુતાં ત્યાં ખરાં, એમાં તમારે શું ?” કરી જવાબ દેતી હતી અને એ સ્વપ્ન પુરું થતાં પહેલાં બીજું સ્વપ્ન જોતી હતી. તેમાં કૃષ્ણકલિકા સાથે મેઘદૂતમાંથી સાંભળેલાં અટકચાળાં કરતી હતી અને એ સામાં અટકચાળાં કરે એટલે કોપાયમાન થઈ ધમકાવતી હતી.

અમાત્યના ઘરમાં કલાકેક સુધી આ શાંતિ ટકી. એના ઘરમાંથી જોડે ગલીમાં બારી પડતી હતી ત્યાં આગળ રાતના આઠ નવ વાગ્યાથી બેચાર


  1. કમળ
  2. જગન્નાથના ભામિનીવિલાસ ઉપરથી.