પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૫


માણસો ફર્યાં કરતાં હતાં. તેમાં સઉથી અગ્રેસ૨ જમાલખાન હતો. અલકકિશોરીને કૃષ્ણકલિકાએ બ્હીતે બ્હીતે શીખામણ દીધી હતી પણ તે શીખામણનો એ અમાત્યકુમારીએ અભિમાનમાં તિરસ્કાર કર્યો હતો. ન્હાની બાબતમાંથી મ્હોટાં પરિણામ થાય છે તેની એ બાળકીને ખબર ન હતી. ખલકનંદાને તથા રુપાળીને તેમના યારોની સાથે ચાલતાં જોઈ એણે મ્હોં મરડ્યું હતું અને શા વાસ્તે મરડ્યું હતું તેનો ખુલાસો પણ બેચાર બઈરાં વચ્ચે આપી ચુકી હતી. હાલ એ વાત એ સમુળગી ભુલી ગઈ હતી પણ ખલકનંદા વીસરી ન હતી. એ પણ કારભારીની દીકરી હતી અને સૌભાગ્યદેવીનાથી વયમાં ઝાઝી ન્હાની ન હતી એટલે આ ન્હાની છોકરી તેને ફાટી ગઈ લાગી. બઈરાંએ તેને મ્હોંયે કહ્યું કે માયે દીકરાને શીખવ્યું અને તેથી એણે મ્હોં મરડ્યું. ખલકનંદાને મ્હોયે કોઈ એની વાત કરી શકતું નહીં પણ એક જણીએ કહ્યું કે અલકકિશોરી ત્હારી આવી આવી વાતો કરે છે. અમાત્યને કારભાર મળવાનો છે એવી ફુલાશનાં વચન પણ કિશોરીના મ્હોંમાંથી નીકળી જતાં અને કારભારી તથા અમાત્યનું એકબીજાસાથેનું વેર તેમનાં બઈરાં છોકરાંમાં પણ આવ્યું હતું.

સૌભાગ્યદેવી પવિત્ર હતી તેમ તેનો પટ તેની પુત્રીમાં પણ હતો. પરંતુ ફેર એ હતો કે અલકકિશોરીને પવિત્રતાનું ગુમાન હતું અને કારભારીનાં અપવિત્ર બઈરાં પર દેખીતો તિરસ્કાર આમ ઘણીવાર બતાવતી. વરને કાબુમાં રાખતી તેમ બીજા કોઈ પુરુષને પણ લેખામાં ગણતી ન હતી. રુપાળીએ સુઝાડ્યું અને ખલકનંદાએ કબુલ કર્યું કે આ ગુમાન ઉતરે એવું છે. જમાલને ઉશ્કેર્યો અને મને કોણ પુછનાર છે કરી મીયાંભાઈએ બીડું ઝડપ્યું. એને તો એક પંથ ને દો કાજ થયાં. અલકકિશોરીની ધમક જોઈને અંજાઈ ગયો હતો અને તે ખલકનંદા જેવી પોતાની થાય એમ બહુ ઈચ્છતો. એવામાં આ લાગ મળ્યો. એને સાસરે જતાં પકડવાના મૂર્ખ હેતુથી બુદ્ધિધનના ઘર આગળ બેચાર મિત્ર સાથે રાખી હેરા ફેરા કરતો હતો. સાસરે તો ગઈ નહી. બાર વાગ્યા, એક વાગ્યો અને મિત્રો પાછા ગયા એટલે પોતે એકલો પડ્યો અને ઘેર જવાનો વિચાર કરે છે એટલામાં સુઝયું !

“સાળું હવે ઘેર જઈએ તે તો ખોટું. આટલી બધી તાલમેલ લગાવી તે ધુળ જાય. આજ ફકકડ બન્યો છું અને એ ગોરી ગોરી ન મળે તો તો થઈ જ રહ્યું. ચલોબે. રોજ ફોજદાર સાથે ચોરમાં ભળીયે છીયે. આજ બંદા જ ચોર.” વિચાર કર્યો કે બુદ્ધિધનના ઘરમાં ચ્હડી ઉતરવું. ઘરની પછીતમાં ગયો, ઉંચું જોયું તો એક ઓરડી ઉપર થઈ છાપરે છાપરે થઈ