પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦


આવી આવી વાતોથી પત્થર ઘસાયો અને ભૂપસિંહનો જીવ કામકાજમાંથી ઓછો થયો. બપોરે બુદ્ધિધન આવે ત્યારે રાણો ક્‌હાવે કે “ચાલતું કરો, હું આવું છું.” અાખરે આવે અને કાગળ પર બે બીલાડાં તાણી આપે – બુદ્ધિધન સઉ જોયાં કરતો. પોતાનાપરથી ભાવ ઉઠી શઠરાયપર થયો ન હતો પણ તેમ થવાનો આ રસ્તો હતો. કલાવતી રોજ બપોરે આવતી તે એને માલુમ પડ્યું. કલાવતીનો ઈતિહાસ માલુમ પડ્યો. બપોરે રાણાને ત્યાં એ ને રાત્રે એને ત્યાં દુષ્ટરાય એમ થતું. રાણો પઈસા ખરચે એટલે દુષ્ટરાય વગર પઈસે મોજ માણતો. મેરુલાને પણ ગમત થઈ એ નરભેરામની પાસે ફુલ્યો ને નરભેરામે અમાત્યને બધી વાત કહી. હળવે હળવે ૨ાણો નફટ થયો અને સેવા કરવાને બ્‍હાને રઘી ખવાસણ, રાણો ને કલાવતી એકાંતમાં હોય તે સમયે હાજર રહેતી. રઘી કલાવતીની પણ સેવા કરતી અને એની માનીતી થઈ પડી હતી. મ્હાવાસાથે એને સંબંધ હતો, અને એ લુચ્ચો છતાં બધી વાતો એને મ્હોંયે કરતો. મ્હાવો લંપટ હતો અને ૨ઘી પઈસાની અને ઘરેણાંની લોભી હતી. મ્હાવો લુચ્ચો હતો પણ રઘીની પાસે ગરજ વખતે મૂર્ખ બની જતો. રઘી મૂર્ખ હતી પણ રમતીયાળ હતી અને મ્હાવાને ગરજ હોય ત્યારે ચેતતી અને એને ઠગતી, ધમકાવતી, લુટતી, અને ફાવી જતી. બે જણને મહેલમાં યથેચ્છ વર્તવા પુષ્કળ સગવડ મળતી; મ્હોટાનાં ઘર એવાં જ હોય છે. શઠરાયના ઘરમાં રઘીને સઉ ખેલાવતાં અને ખેલાવનારમાં અગ્રેસર નરભેરામ હતો. નરભેરામે રઘીને છાનાંમાનાં શીખવ્યું કે “ રાંડ, જાને, રાણો ને કલાવતી હોય ત્યારે જઈયે ને બધી જાતની ચાકરી કરીયે. એમાંથી પઈસાવાળી થઈશ ને કોઈ દ્હાડો રાણાની રાણીયે થવાય !” રઘીએ આ ખરું માન્યું અને તેનું ફળ અાપણે જાણીયે છીયે. નરભેરામનો રઘી ઉપકાર માનતી અને બધી વાતો સાંભળતી તે નરભેરામ કલાવે એટલે કહી દેતી. એક મ્હાવાએ કરેલી વાતો એ કોઈને કહેતી નહી. નરભેરામે એક દિવસ કહ્યું. “ રાંડ, મ્હાવો ત્‍હારો કયારે કે એની વહુને રાણીએ નથડી આપી છે તે તને આણી આપે તો. ગમે એટલું પણ તું તે રાખ - રાખેલી.” રઘી ઉત્સાહ અાણી ઉછળી બોલી: “હા, હા, એ તો હું આણું.” નિષ્ફળ થઈ મ્હાવાને વહુ પાસેથી મળે એમ હતું નહીં. મ્હાવે બ્‍હાનું કહાડ્યું અને રઘીને સમઝાવી. પણ રઘીએ માન્યું નહી. નરભેરામે ફુલીને કહ્યુંઃ “હેં, લેતી જા. મ્હારો મ્હાવો – મ્હારો મ્હાવો – તે ત્‍હારો નહીં નીવડ્યો હોય ! વખત આવ્યે સઉ જણાય.” મ્હાવાનો સંબંધ તો રઘીથી તુટ્યો નહી. પણ