પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧ર


લ્હોઈ બોલ્યો; “બુદ્ધિધન, તમારો મ્હારે પૂર્ણ વિશ્વાસ છે. તમારે લીધે મ્હારા આ દિવસ છે. આ તરકટી કાગળો મ્હારી પાસે આવવા દ્યો. આપનારને હું ફાંસીયે ચ્હડાવીશ. શા વાસ્તે તમે શઠરાયનો ઉપાય કરતા નથી ?”

કાગળો લઈ બુદ્ધિધને શીખામણ આપી: “આ કાગળો મ્હાવો આપે ત્યારે લેજો. માનતા હો તેમ જણવજો. મ્હારાપર દ્વેષ જણવજો અને શઠરાયના હો તેમ બ્હારથી ચાલજો.” બીજી જોઈતી સૂચના આપી અમાત્ય ઘેર ગયો.

મ્હવાયે બપોરે કાગળો રાણાને આપ્યા. રાણો કોપાયમાન દેખાયો, બુદ્ધિધનને પાયમાલ કરવાની ગર્જના કરી, શઠરાયને બોલાવ્યો, સઉ વાત કહી, શઠરાય મનમાં ફુલ્યો, અને વચન આપ્યું કે એ બુદ્ધિધનનું મ્હોં તમારે જોવું ન પડે એમ કરી આપું. રાણો ક્‌હે “અમાત્યનું કામ માથે લેવા કોઈ માણસ તૈયાર રાખો અને આપણું ધાર્યું થાય ત્યાં સુધી અમાત્ય જાણે નહીં એમ કરજો.” કારભારી વિચાર કરી કહે: “નરભેરામને આપની સાથે હજુ૨ સેક્રેટરી કરી રાખો. બુદ્ધિધનની પ્રથમ જગા એ જ હતી. એને નીમશો તો અમાત્ય વહેમ નહીં ખાય ને નરભેરામ તરત સઉ કામ શીખી જશે.” એ પ્રમાણે થયું.

બે ચાર દિવસ પછી ચૈત્રી પડવો હતો. તે દિવસે દરબાર ભરાવાનો ત્યાં સઉ ખેલ રચવાનું નિર્માણ થયું. બુદ્ધિધને પઈસા ખાધેલા – ન્યાયમાં કુંડાળાં વાળેલાં – તેની ચાડી ખાવાનું ભારેખમ પણ બેશરમ ગરબડદાસે માથે લીધું. મ્હવાનો ભાઈ ખેાડો થોડા દિવસ લીલાપુર ટપાલખાતામાં હતો તેણે રાજબાવાળા કાગળો ઉઘાડા કરવાનું માથે લીધું. તેણે પોતાની પાસે કાગળે શી રીતે આવ્યા તેની હકીકત જોડી ક્‌હાડી. રાજબાની વાતમાં સાક્ષી પુરવાનું નરભેરામને માથે પડ્યું. રાણો ગુસ્સે થાય અને હુકમ કરે કે દુષ્ટરાયે બુદ્ધિધનને પકડવો અને એનું ઘર જપ્ત કરવું એ નકકી થયું. રાણાને માથે કામ નાંખવામાં આવ્યું કે બુદ્ધિધનને માથે આવેલા ચાર્જનો ઈનસાફ કરવતરાયને સોંપવો. દુષ્ટરાયે રાણાના કાનમાં કહ્યું “બુદ્ધિધનને પકડ્યો એટલે એના ઘરનાં ત્રણે બઈરાંને આપની પાસે લાવીશું. બહુ દેખાવડાં છે.” રાણાને કંપારી છુટી પણ મનોવૃત્તિ સંતાડી. દરબારમાંથી નીકળ્યા પછી રસ્તામાં જ શઠરાયે કરવતરાયના કાનમાં વાત કરી; “ત્હારે માથે વળી શું કરવા જોઈયે ? પોલીટીકલનું લફરું આવી બેસે. રણજીત, મ્હાવો, ને એ બધાંને સમઝાવીશું એટલે છાનીમાની કાશ ક્‌હાડશે. લોક જાણશે એણે આપઘાત કર્યો. રાણાને કહીશું કે રાજબાની કોર્ટમાં ફજેતી થતી