પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૭


અમાત્યની નીતિ કારભારીપર ઘા કરવાની ન હતી પરંતુ તેને તેના પોતાના જ ખોદેલા ખાડામાં પાડવાની હતી અને તેમ કરવા સારુ યોગ્ય ઉપાય લેવા તે તત્પર હતો. દરબારને દિવસે કારભારીએ ધારેલા પ્રપંચ સામી ઢાલ રાખવાની પણ જરુર હતી. ખટપટાસ્ત્ર, સામું ખટપટાસ્ત્ર મુકવાની તો યોજના હતી જ; પણ વખત છે, ધારેલી સિદ્ધિ ન થઈ અને કાંઈક હરકત પડી તો દુષ્ટરાયની પોલીસના હાથમાં ન પડવા સારુ યોગ્ય ઉપાય તેણે શોધ્યો.

અણીને સમયે દુષ્ટરાયને દરબારમાંથી ઘેર જવું પડે એવી યુક્તિનો અમલ નરભેરામને સોંપ્યો, તે એવા વિચારથી કે ફોજદારની આંખની શરમ દૂર થતાં એના સીપાઈયોમાં કેટલાકને બુદ્ધિધનની શરમ પડવાનો અવસર મળે, એમ પણ ન થાય તો પોલીસને વશ કરવા રસાલાનાં માણસોને તત્પર રાખ્યાં. સમરસેનનો મ્હોટો ભાઈ વિજયસેન રસાલામાં એક ટુકડીનો ઉપરી હતો. અા શાંતિના અને ઈંગ્રેજ સરકારની સત્તાના દિવસોમાં રસાલો કટાતો હતો અને માત્ર શોભાકાર્યે સ્મરણમાં આવતો. દરબાર પ્રસંગે તોપો ફુટે અને અાનંદોત્સવ થાય ત્યારે તે ઉત્સવની પૂર્તિ સારુ રસાલાની એક ટુકડી ઉઘાડી તરવારે રાજમહેલમાં હાજર ર્‌હેતી. આ વખતે વિજયસેન અને તેની ટુકડી હાજર ર્‌હે એવો હુકમ થયો. વિજયસેન થનાર ઉથલપાથલની વાત જાણતો ન હતો. પણ બુદ્ધિધને સમરસેનને હુકમ આપ્યો હતો કે દરબાર સમયે મ્હારા શરીર પાસે રહેવું, અને પ્રસંગ પડ્યે વિજયસેનને કેવી સૂચના : અાપવી તે શીખવી મુક્યું. પોતે દરબારમાં જાય તે સમયે ઘરનો બંદોબસ્ત રાખવા બે ત્રણ વિશ્વાસુ રજપુત સીપાઈઓ અને આરબોને વરધી આપી અને ખાનગી કહી મુક્યું કે હું આવું ત્યાંસુધી કોઈ પરભાર્યા માણસને ઘરમાં ન જવા દેવો અને ફોજદાર અને તેનાં માણસોથી સાવધ રહેવું. સ્ત્રી-વર્ગને સખત હુકમ થયો કે તે સમયે ઘરમાંથી બહાર ન નીકળવું. આ સર્વ સૂચના - એ શિવાયનો સર્વ બંદોબસ્ત સાધારણ હતો, પણ સૂચનાઓ સઉને અસાધારણ લાગી. સૂચના ઉપરાંત કાંઈ વાત કોઈને ખબર ન હતી અને તર્ક વિતર્ક કરતાં સઉ માણસો સૂચનાઓ અમલ કરવા તૈયાર બન્યો અને એ વિચિત્ર દિવસમાં શું બનવાનું છે તે જોવા તળે ઉપર થઈ રહ્યાં.

ફાગણ વદ અમાસની રાત્રે અમાત્યના ઘરમાં આ સ્થિતિ હતી. કાલ કેવી પડે છે ને કાલની રાત કેવી જશે તે જોવા સઉ આતુર થઈ રહ્યાં. ઉન્હાળામાં વગર પવનની રાત્રે ઉકળતી પથારીમાં સુતો હોય તેમ બુદ્ધિધને અાખી રાત પથારીમાં તરફડીયાં માર્યાં અને ત્યાં સુધી મેડીની છત સામી ઉઘાડી અાંખો જોઈ રહી. તેને મીંચાવવા સૌભાગ્યદેવીની શય્યા અશક્ત નીવડી. આખરે