પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫

ઈચ્છા પુરી પડતાં બીજી ઈચ્છા રાખતો, અને બુદ્ધિધન કાંઈ પણ કરે તો “હોય સ્તો, એમાં શી નવાઈ કરી ?” એવો વિચાર કરી ઉપકારવૃત્તિને ભાગ્યે જ મનમાં પેસવા દેતો; પરંતુ અલકકિશોરી આગળ 'જી લબ્બે' થઈ રહ્યો હોવાથી ઘણું ખરું શાંત રહેતો. બીજી રીતે સમજુ પણ હતો, પરંતુ શ્વશુરપક્ષનું ઘસાતું બોલાય ત્યારે તેનો શુભેચ્છક હોવા છતાં જરા રસથી સાંભળતો. કામકાજમાં આવડ હતી તે છતાં ભુલો કરતો તેની બુદ્ધિધન ઘરમાં વાતો કરે તે સરત રાખી અલકકિશોરી રાત્રે વખતસર જીભ વડે ચાબકા લગાવતી તે વિદુરપ્રસાદ એક બોલ બોલ્યાવિના વેઠતો. એનાં માબાપ પણ તેમની અણઓશીયાળી વહુ ઘરમાં પગ મુકે એટલે ચુપ થઈ જતાં અને નિંદાને વહુની પુંઠ પાછળ જ પુરી રાખતાં. દયાશંકરનો દીકરો જયમલશંકર પણ આવ્યો. બુદ્ધિધને આપેલી દ્રવ્યની સહાયતાથી એ ઈંગ્રેજી ભણ્યો હતો અને “મેટ્રીકયુલેશન”માં મુંબાઈ જઈ પાસ થઈ આવ્યો હતો. એ શરીરે પ્રચંડ હતો, દેખાવમાં પ્રતાપી હતો, અને વ્યવહારકાર્યમાં બુદ્ધિ ઠીક ચલાવતો. એના મોસાળ ભણીથી એ શઠરાયનો સગો હતો, અને ભૂપસિંહના મ્હેલમાં ખરચખુટણ તથા બીજી વ્યવસ્થાની દેખરેખ પર નીમાયો હતો. બુદ્ધિધન એની બાબતમાં વાંધો નહી આણે જાણી શઠરાયે એને આ જગ્યાએ ગોઠવી દીધો હતો અને તેને ગોઠવી દેવા શઠરાયને ઉશ્કેરનાર નરભેરામ હતો. રાણાએ જયમલશંકરને બુદ્ધિધનને તેડવા મોકલ્યો હતો. એ આવ્યો કે તરત એણે બુદ્ધિધનને શોધી ક્‌હાડ્યો અને કાનમાં સમાચાર કહ્યા:

"ભાઈસાહેબ, આજ કલાવતી આખી રાત દરબારમાં ર્‌હી સવારે ચારવાગે ઘેર ગઈ. રણજીતે ક્‌હાવ્યું છે કે એણે ૨ાજબાની જ વાતો કર્યા કરી છે અને રાણા ઉશ્કેરાયા છે. રાણાનો વિશ્વાસ કરવો ન કરવો એ તમે જાણો. કલાવતી ગયા પછી એમણે શઠરાય પર ચીઠી લખી મોકલી. કોણ જાણે શું લખ્યું હશે. એમ બબડતા હતા કે 'આટલું બધું જુઠાણું ન હોય' -'રમાબાઈ' કે પછી એવું કંઈ નામ દીધું અને લવ્યા કે એણે પણ કાંઈક એવી જ વાત કરી હતી.”

આા વાત સાંભળી બુદ્ધિધને જયમલને પાછો દરબારમાં રવાને કર્યો અને ક્‌હાવ્યું કે હું થોડી વારમાં આવું છું. રાણો શઠરાયને ઠગે છે કે પોતાને ઠગે છે એ એને સમજણ ન પડી. તો પણ હવે લાંબો વિચાર કરવાનો વખત ન હતો. સર્વ વિચાર, સર્વ ગોઠવણ, થઈ ગયાં હતાં. માત્ર ત્વરાના ગભરાટથી એક વાત નવી સુઝી. થોડા સહવાસમાં એણે નવીનચંદ્રને નાણી જોયો હતો અને એ રુપીઓ બાદલો નથી એવી તેની ખાત્રી થઈ હતી. એને