પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪

“ચાકરી ઠીક ઉઠાવી છે. બુદ્ધિની જરૂર ઇશ્વરે રાખી નથી. એમને હાલ વસુલ ખાતાના ઉપરીની જગા છે."

“આ કોણ ?”

“એ સાહેબ જે જાડાજેવા બેઠા છે તેમનો કરબ બહુ છે. એમનું નામ સાંભળી લોક ત્રાસે છે. એઓ સાહેબ કારભારીના સાળા છે. એઓ સાહેબ સર્વજ્ઞ ગણાય છે. પોલીસ ખાતામાં પ્રથમ હતા. ત્યાં પરસ્ત્રી અને પરધન એ બાબત જુલમ કરવા માંડ્યો એટલે બસ્કિન્ સાહેબની તાકીદ આવ્યાથી એમને આ ખાતામાં નાલાયક ગણી એમને ન્યાયાસન પર બેસાડવામાં આવ્યા. ત્યાં, સાહેબ, એઓ બન્ને પક્ષકારોનું સારું ઇચ્છતા અને જે પક્ષકાર એમનું વધારે સારું ઈચ્છે તેના ઉપકારનો બદલો વાળવો ચુકતા નહી. અમાત્ય આવ્યા પછી એમને મ્હાલ સોંપવામાં આવ્યો છે એટલે, સાહેબ, રાજા અને પ્રજા એના તરફથી લાભ પામે છે.”

“ત્યારે એમને કોઈ પુછતું નથી ?”

“અરરરર ! એ શું બોલ્યા ! તમારા પર ફરીયાદ કરીયે તો તમારા મ્હોટા ભાઈ સાંભળે ? તાકાત કોની હોય કે ફરીયાદ કરે ?”

“પણ મ્હાલના કામમાં તો ગરબડગોટા અને નાલાયકો તરત જણાઈ આવે.”

“નાજી, ના. એ તો આપને અનુભવ નથી. કારભારી સાહેબના રસોઈઆને અને નાયબકારભારીની જગા આપવામાં આવે તો તે જ દિવસથી એની હોશીયારી પંકાય જ – એની કદર જણાય જ. એ. કોઈ હરામખોર પરભાર્યો પેશી ગયો હોય તો તેની ખોડો તરત બ્હાર પડે. તેનામાં હોંશીયારી હોય જ નહીં. વારું સાહેબ, આમને ઓળખ્યા ?”

“હા, એ નરભેરામ. એમને વીશે કાંઈક જાણું છું. ઇતિહાસ ક્‌હો.”

“જુવો, સાહેબ, અમાત્યની નિન્દા એ એમનું અને કારભારીનું સગપણ, અને નીચામાં નીચી ખુશામત એ એમની હોંશીયારી. ”

“એટલું કરનાર તો ઘણાએ હશે.”

“ હા.પણ બસ્કિન્ સાહેબે એમને મોક૯યા એટલે દાખલ થઈ ગયા અને રાણાને એમના પર કાંઈક વિશ્વાસ એટલે કારભારી ત૨ફથી માન મળે છે."

"ઠીક."