પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯

સર્વ આ વાતોથી વિસ્મયમાં પડતા હતા. ક૨વતરાય મનમાં જય પામતો હતો – તે એવું સમજીને કે રાણો હવે રાજબાનું પ્રકરણ ક્‌હાડશે. શઠરાય એથી ઉલટું જ સમજ્યો; તેના પગ થરથરવા લાગ્યા, બુદ્ધિધન સામું કઠણ દૃષ્ટિથી – ઉંડા વૈરભાવથી - જોઈ રહ્યો. રાણા અને અમાત્યનો ક્રૂર સંવાદ તેણે અટકાવ્યો.

“મહારાણા, હવે વાતો કરતાં કામની વધારે જરુર છે. આ બાબતનું મૂળ શોધી ક્‌હાડવું જોઈએ. હમે બે ભાઈઓ અને સર્વ અમલદારોએ તરત નીકળવું જોઈએ. બુદ્ધિધન, આપણી સાથે ચાલો. આ કાર્યની તપાસ કરવી જોઈએ– તેમાં તમારી પણ જરુર પડશે જ –” કંઈક સારો વિચાર સુઝી આવવાથી કારભારી ટટાર થઈ બો૯યો. કંઈ પણ બ્હાને રાણાના પંઝામાંથી તરત છુટી જઈ – એને જ કલાવતી અને નરભેરામના પંઝામાં ર્‌હેવા દેઈ સઉ વાત હાથથી ગઈ માલમ પડે તો ગમે તો રાણાને જ આ દુનિયામાંથી વીદાય કરવો અથવા તેમ ન બને તો પોતે કુટુંબ અને દ્રવ્ય લેઈ સુવર્ણપુરમાંથી પોબારા ગણવા એ કલ્પના તેના મગજમાં તરી આવી. અમાત્યને પણ રાણા પાસે ર્‌હેવા દેવો નહીં એવું પણ ધાર્યું. આ છેલ્લો ધુમાડાનો બાચકો ભર્યો તેનો તેને લાભ મળે ! એ થવા ન દેવા જેટલી અકકલ ૨ાણામાં હતી જ.

"ના રે ના, કામદાર, હાલ તમને છુટા ન મુકાય. આજના બનાવથી હું અસ્વસ્થ થયો છું અને મ્હારા મનનું સમાધાન કરવા તમે અંહી જ રહો.”

કારભારીનો છેલ્લો પાસો ધાર્યો ન પડ્યો. તે નિરાશ થયો.

“દુષ્ટરાયને બોલાવો, કામદાર. આ બાબતમાં તમે કેમ સાંભળતા નથી ?”

શઠરાયે ઉત્તર ઘડી ક્‌હાડ્યો તે પ્હેલાં ક૨વતરાય બોલી ઉઠ્યો: “રાણાજી, આ નરભેરામ અહુણાં જ ઘેરથી આવ્યા તેમણે સમાચાર આણ્યા છે કે એ હાલ આવી શકે એવી તેના શરીરની અવસ્થા નથી.”

“હે ! શું થયું છે એમને ? અહુણાં તો દરબારમાં હતા. શું તમારા ઘરમાં પણ દગો ફટકો થયો છે કંઈ?”

“હાજી, કાંઈ એમ જ છે.” શઠરાય અને સર્વ ચમક્યા.

“શું હા ? શું થયું છે ? શું થયું છે ? નરભેરામ ?”

“જી મ્હારી જીભ ઉપડે એમ નથી; ક્ષમા કરો.”

“શું ? મ્હારી આજ્ઞા તમે નહી પાળો ?”

“જી, ક્‌હેનાર આ આવે.” ઘાયલ થયલો મેરુલો હાથ ઉપર