પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૭


ઉંઘે છે કે જાગે છે ? કુલીન વનિતા વિનંતી ન કરી શકી - તેની આંખમાંથી આંસુંનાં ટીપાં ગરગર ટપકવા લાગ્યાં. એટલામાં નવીનચંદ્રે પાસું બદલ્યું. તે ખરેખર ઉંઘતો જ હતો. પાસું ફરતાં તેનો હાથ પાસે બેઠેલીના ખભા ઉપર ઉંઘમાં અચિંત્યો પડ્યો. તૃપ્તિનો સમય અચિંત્યો પાસે આવતો હોય – મદનવેદનામાંથી અચિન્તી છુટવાની આશા સફલ થવા નિર્મિત થઈ દેખાતી હોય – તેમ અલકકિશેારી ચમકી – એ ચમક આનંદમય લાગી. તૃપ્તિનો ભોગ અનુભવતો હોય તેમ થરથરતા ઓઠ ઉપર સ્મિત આવી બેઠું. આ હાથને આમ પળવાર પણ ટકવા દીધો - તેને ખસેડી ન નાંખ્યો – આ દશામાં આનંદ મનાયો - તે ન ખમાતું હોય તેમ આજસુધી રહેલા પતિવ્રતને ઓછું આવ્યું - ઘણા દિવસનું પવિત્ર ઘર છોડતાં તે ઘરમાંથી ક્‌હાડી મુકનાર સાથે પળવાર ૯હડવા લાગ્યું. જાણે હિતૈષિ પતિવ્રતની જ શીખામણથી મદનાવસ્થાનું ખરું દુષ્ટ સ્વરૂપ પ્રકાશિત થતું હોય તેમ આટલા ભોગથી અલકકિશોરી તૃપ્ત ન થઈ. તૃપ્તિને વેશે અતૃપ્તિ જ આવી હોય - તૃપ્તિ વધારવાને બહાને અતૃપ્તિ પગલે પગલે વધારે ક્રૂર બની બળ અજમાવતી હોય - તેમ થયું. છુટકારાને બદલે બંધન વધારે સખત થવા લાગ્યાં અને તે બંધથી તનમન સખત ચુસાવા માંડ્યાં. અમૃતને બદલે આખા શરીરમાં ઝેર વ્યાપ્યું. આ સર્વે તીવ્ર અતિતીવ્ર વેદના સૂચવતી આંખમાંથી આંસુની ધારા વધારે વધારે છુટવા લાગી અને ખાળી ખળી નહીં. એટલામાં નવીનચંદ્રનો હાથ હાલ્યો. તેને છુટો થવા દેવા ખુશી ન હોવાથી તેને પકડી રાખવા કિશોરીનો હાથ ઉપડ્યો – પણ હીમ્મત હારી પાછો પડ્યો. આથી નવીનચંદ્રનો હાથ સ્થાનભ્રષ્ટ થયો, ખભા ઉપરથી રજ નીચે સર્યો અને ઝીલી લીધો હોય – પડતાં પડતાં ખુંટી પર ભરાઈ રહ્યો હોય – તેમ રસ૨હસ્ય જાળવનાર અસ્પર્શ્ય શરીરને આધારે થંભ્યો. તેના ઉપર કિશોરીનાં ઉષ્ણ આંસુ પડવા લાગ્યાં - નિદ્રામાં ને નિદ્રામાં આંસુના સ્પર્શથી એકલો જાગેલો હાથ ઉંચો થયો. મર્યાદાની મર્યાદા તોડતા આતુર હાથે તે હાથ અનિચ્છાથી પકડી લીધો. હાથપર બળ આવતાં ઉંધેલો નવીનચંદ્ર જાગી ઉઠ્યો. જાગ્યો તે છતાં તેની આંખ ઘેરાયેલી જ રહી. તેમાં આંખ આગળ, આ ન મનાય એવો સ્વપ્ન જેવો દેખાવ જોવા લાગ્યો. આ શું ? નવીનચંદ્ર પણ પોતાનો હાથ ખેંચી લેતો નથી ! શું એના મનમાં પણ અલકકિશોરીની પતિત વૃત્તિને પ્રતિધ્વનિ થયો ? અથવા શું આ એને ખરેખર સ્વપ્ન જ ભાસ્યું ? અથવા શું આ સ્વપ્ન જ હતું ? આ શો સન્નિપાત ! અધમ સંગતિ થવા દીધી તો અધમ કપલ્પના થવા વખત આવ્યો ! કલ્પનામાંથી અધમ મનોવિકાર થયો. મનમાં જ વિકારમાંથી શરીરને વિકાર થયો. એટલેથી જ અંત ન આવ્યો. વિકારવશ