પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮


અલકકિશોરી ક્‌હે, “આ બધા કેમ અત્યારે અંહીયાં આવતાં હશે ?” સઉ કંઈ કંઈ કારણ બતાવવા મંડી ગયાં. અંતે વિદુરપ્રસાદે કહ્યું “એ તો એસ્તો – કારભારીની તહેનાતમાં ર્‌હેવા આવે નહી તો ક્યાં જાય ? હવે – કારભારીનું ઘર બદલાયું !”

વનલીલા બોલીઃ “અલકબ્હેન, હવે ઉઠો અંહીયાંથી; હવે આ દીવાનખાનાની મેડીમાંથી બેસવાનું ગયું – હવે તો અમલદારો બેસશે – હવે તો આ કચેરીની મેડી થઈ ગણો.”

નીચેથી સીપાઈએ બારણું ઉઘાડ્યું અને સઉ સ્ત્રીવર્ગ દીવાનખાનામાંથી બારણું ઉઘાડી નવીનચંદ્રવાળી મેડીમાં ગયો. અમલદારો દાદરપુર ઉભરાયા. સ્ત્રીવર્ગે જતાં તેમની પાછળ દયાશંકરે બારણું વાસ્યું. અને વાસતાં વાસતાં ગાયું કે,

”ભલે પધાર્યં, લક્ષ્મીબાઈ ! સગાં સંબંધી અાવે ધાઈ !” “કોઈ ક્‌હે, મ્હારે મોળાઈ ભાઈ ! કોઈ ક્‌હે, મ્હારે મશીયાઈ ભાઈ!” વિદુરપ્રસાદ તે સાંભળી હસ્યો અને સઉ અમલદારોને સત્કાર દેવા દાદર ભણી ચાલ્યો.

અમલદારસંઘનાં કડકડ થતાં ઈસ્ત્રી-વાળાં અંગરખા, ચમચમ થતા અને પગેથી નીકળતાં જમીન પર ઘસાઈ શબ્દ કરતા અનેક જોડા, ગુપચુપ થતી વાતો, ઘડી ઘડી સંભળાતું બુદ્ધિધનનું નામ, એ નામની પાછળ પ્રત્યય પેઠે લગાડતો “ભાઈ” શબ્દઃ આ સર્વ વસ્તુ માંડવઆગળના ખંડમાં હીંચકા પર બેઠેલી સૌભાગ્યદેવીના શરવા થતા કાનના દ્વાર પર ઉપરાઉપરી ધક્કેલા મારવા લાગી. જડસિંહના સમયમાં સર્વ અમલદારોની પાછળ ભલું હોય તો જોડાઆગળ એકલો અપ્રસિદ્ધ બેસનાર - તિરસ્કારને પાત્ર થનાર – અનાથ વિધવાને ગરીબ દીકરો – બુદ્ધિધન ગરીબ ઘરમાં ર્‌હેનાર માતુશ્રી પાસે શઠરાયને ઘેરથી અાવી મ્હોટા અભિમાની ઘરની વાતો રંક મ્હોંયે ક્‌હેતો, અને માતુ:શ્રીની પાસે બેઠી બેઠી છાનીમાની પોતે સાંભળતી તે પ્રસંગ દેવીના મન અાગળ ઉભા થયા. તેમની સાથે નવા પ્રસંગને સરખાવતી, જુની અવસ્થાની અવગણના કર્યા વિના નવી અવસ્થાના ધ્વનિને પ્રધાન પત્ની બનતી રંક અબળા આનંદનાં આંસુવડે એકલી બેઠી બેઠી સત્કાર આપવા લાગી. સ્વામીની ઉચ્ચ પદવી દ્રષ્ટિ આગળ મૂર્તિમાન થતી જોઈ કોમળ કલ્પનાવાળીનાં રોમેરોમ ઉભા થયાં; અચિંત્ચા સુખની શીતળતાથી શરીરને ચમક થતી હોય તેમ કંપારી ચમકાવવા લાગી; અમલદારોના ઓઠઉપર