પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૫


“ભાઈ આવ્યો ? ખાધું એણે કાંઈ?”

અજાણતાં પણ દેાષ થતાં કોઈ મેલી માતાને કુંડું પડે તેમ આટલા ઉચ્ચારના ફળમાં શેઠે કાંઈ નવું જ – મ્હોટું – ભાગવત સાંભળવાનું હોય અને તેનું મંગળાચરણ થવા માંડતું હોય તેમ સાંભળવા માંડ્યું. મ્હેં “કીલોત્પાટી વાનર”નું કામ કર્યું એમ શેઠને સ્પષ્ટ લાગ્યું અને પસ્તાવા લાગ્યા. ગુમાન ઉતરી પડી.

“આ શા ભાઈ ઉપર ઉમળકા ? ભાઈ તો આવ્યા યે ખરા અને બાપના પ્હેલાં ક્યારનું ખાઈને બેઠા છે. બાપને ભાઈ ભાઈ થઈ રહ્યાં છે. ભાઈને તો બાપ લેખામાંયે નથી. ભાઈ તો એ બેઠા બેઠા કાગળો આવ્યા છે વહુના તે વાંચે. એમને પરણ્યા પહેલાંથી વહુ વહુ છે. અને તમારે મન તો હજીયે ઠીક જ છે. કોણ જાણે ક્યાંથી લોકો જુઠું જુઠું ગાય છે કે,

“બીજ વ૨ની પરણી મહાસુખ પામશે ! ”

ઈંગ્રેજ લોક ક્‌હે છે કે હીંદુઓમાં સ્ત્રીઓને સ્વતંત્રતા નથી. પણ આવા ધનાઢય અને વયવાળા પ્રતિષ્ઠિત ધણીને પોતે આમ ધમકાવે અને શેઠ સાંભળી રહે એ ગુમાનની સ્વતંત્રતામાં શું કાંઈ ન્યૂનતા છે ? વીલાયતથી આવેલો એક તાર લેઈ શેઠને આપવા આવેલો એક ગુમાસ્તો આવો વિચાર કરતો કરતો તાર આપી પાછો ગયો.

શેઠ તાર વાંચે છે એટલામાં થાળી પાછી મુકી આવી રસ્તામાં પડતી એક બારીની જાળીને અઠીંગી ગુમાન ઉભી રહી અને તાર વંચાઈ રહ્યો એટલે પાસેથી એક કાગળ ક્‌હાડી આપ્યો. શેઠે પુછ્યું “કોનો કાગળ છે આ ?"

“આ જુવો તો ખરા - ભાઈએ કાગળ લખ્યો છે વહુ ઉપર - તમે કોઈ દિવસે મને એવું લખ્યું ?” સરસ્વતીચંદ્રના ટેબલમાંથી ચોરેલો એક કાગળ શેઠને આપી ગુમાન બોલી. શેઠ કાગળ લેઈ ગુમાન ભણી કતરાતી કોપાયમાન આંખે જોતા જોતા, ઉંડા વિચારમાં પડ્યા અને આખરે ગાજી ઉઠ્યા,

“ક્યાંથી આણ્યો કાગળ આ ? આવું કામ કરે છે ? આ કાગળ મને વંચાવતાં શરમાતી નથી ?”

રજ પણ ગભરાયા વિના શાંતિ રાખી ગુમાન બોલી, “હું જાણું છું કે એ કાગળ તમને વંચાવવો ન જોઈએ, એટલું જ નહી પણ મ્હારે ય વાંચવો ન જોઈએ, એટલું તો હું સમજું છું. પણ આ તો ભાઈની ખુબી બતલાવવા આણ્યો છે. કાંઈ ચોરીને આણ્યો નથી. ભાઈએ