પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૪


“તો જેવી ઈચ્છા. આપની ઈચ્છા એ મ્હારે મન આજ્ઞા જ છે – માત્ર ઘરનું હિત લાગ્યું તે સૂચવ્યું.”

"હવે ઠીક એ તો. આ વીશે જોજો.”

"હાજી .”

જન્મ્યા પછી પિતાને આમ બોલતા આાજ પ્રથમ જ સાંભળ્યા. કારણ કલ્પાયું નહીં, પણ કલ્પવાની જરુરે ધારી નહી. "આજ કાંઈ એમ જ હશે.” એટલા વિચારથી સંતોષ આણ્યો. પોતાને દૂર કરવાનો માર્ગ શેઠ શોધે છે એવી કલ્પના પણ ન કરી. શેઠે જાણ્યું, “ઠીક ઉક૯યું.”

એટલામાં ભાગ્યશાળી ડોશી કાંઈ આકસ્મિક કારણથી માળા જપતાં જપતાં બગાસું આવ્યાથી પંચત્વ[૧] પામ્યાં. લક્ષ્મીનંદનને કાંઈક દુ:ખ થયું પણ મનમાં લાગેલા ડાઘને બળે તરત જ શાંત થઈ ગયું. સ્મશાનમાં સર્વ હસી હસી વાતો કરતા હતા તેમાં ભળી જતાં કાંઈ અસ્વાભાવિક લાગ્યું નહીં. ગુમાન સાસુ પાછળ શણગાર સજી કુટવા ઉભી તેના ઉપર ઘડીક મોહથી દૃષ્ટિ કરી એકાંતમાં તેની તે સમયની સુંદરતા વખાણતાં તેને કાંઈપણ ખેદ થયો નંહી. ડોશીએ કરેલી વ્યવસ્થાથી અજાણ્યો પણ ન્હાનપણથી તે આજસુધી તેની માયામાં ઉછરેલો સરસ્વતીચંદ્ર ઘણો જ ખિન્ન થયો અને ઘડીવાર તેને એવી ભ્રાંતિ થઈ કે આ ઘરમાં હવે કોઈ મ્હારું સગું નથી. આત્મપ્રયાસથી તેણે મનનું સમાધાન કરી દીધું. ડોશીના ખંડમાંથી ચંદ્રલક્ષ્મીની છવિ અને બીજી કંઈ કંઈ સ્મારક વસ્તુઓ પોતાના ખંડમાં આણી તેના ભણી જોઈ ર્‌હેતો. ડોશી બેસતી, વાતો કરતી, માયા બતાવતી, ઈત્યાદિ કંઈકંઈ બનાવોનો તાદૃશ ચીતાર મનમાં ખડો કરી ઘડીક તદ્રુપ બનતો અને વ્યવહારમાં ચિત્ત પરોવવા પ્રયત્ન કરતો. ડોશીના દ્રવ્યનું શું થયું તેનો તેણે વિચાર પણ ન કર્યો.

ગુમાનને નામે અને અર્થે શેઠે ઘણા દિવસ થયાં એક સારી રકમ ક્‌હાડી મુકી હતી, સરસ્વતીચંદ્ર પોતાની સાથે વ્યવહારમાં ભળ્યો તેવામાં એ ૨કમ કોઈ સારા 'શેર'માં રોકી દેવા શેઠની ઈચ્છા હતી, પણ મ્હોટા પુત્ર ઉપર તે સમયે ભાવ હોવાથી તેનો અભિપ્રાય પુછ્યો. સ્ત્રીયોના દ્રવ્યને ચાલતા સુધી શેરમાં રોકવું નહી એવો વિચાર હોવાથી પુત્રે સલાહ આપી કે આ દ્રવ્ય સરકારી 'લોન'માં નાંખો. પિતાએ તે જ પ્રમાણે કર્યું. એ જ સમયમાં ચંદ્રલક્ષ્મીના નામની સરકારી 'લોન' હતી તે વટાવી પોતે


  1. ૧. મરણ