પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૬


“જો સાંભળ. ઘણા દિવસથી હું કાંઈ બોલતો નથી પણ માત્ર જોયાં કરું છું. ત્‍હારામાં દિવસે દિવસે ઘણો ફેર થતો જાય છે. એનું કારણ પ્રથમ તો હું સમજી શકતો ન હતો. પણ વિચારતાં અને જોતાં એમ માલમ પડે છે કે ત્‍હારું ચિત્ત સ્વતંત્ર નથી.”

“ત્‍હારો વિવાહ કર્યો તે ત્‍હારા સુખને અર્થે. પણ એમાંથી જ કુટુંબમાં ક્‌લેશ ન થાય તે જોવું એ ત્‍હારી ફરજ છે. કેટલાક જુવાનીયાઓ ન્હાનપણમાંથી વહુઘેલા થઈ જાય છે અને વહુરો તેનો ગેરલાભ લેવા ચુકતી નથી. વરને ભંભેરી તેને હાથે સકળ કુટુંબનું અહિત કરાવવા તે તત્પર હોય છે. જે વહુરો પરણ્યા પહેલાં અામ કરાવે તે પછીથી શું ન કરાવે તે સમજાતું નથી. પણ વરનું કાળજું ઠેકાણે હોય તો અા કશાની અડચણ નહી. ત્‍હારે જ આમ છે એમ મ્હારું ક્‌હેવું નથી. હું તો હુતાર્થ ઉપર કહું છું કે ખબર હોય તો ચેતતા ર્‌હેવાય ! ”

ઉત્તર દેવાની કાંઈ પણ વૃત્તિ સરસ્વતીચંદ્રના ચિત્તમાં હતી તે સર્વ બંધ થઈ ગઈ. શેઠે મર્યાદા તોડી પણ પોતાથી તુટે એમ ન હતું. “નિર્દોષ પવિત્ર કુમુદસુંદરી ! પ્રિય કુમુદ !” એ ઉચ્ચાર ચિત્તે ચિત્તમાં જ કર્યો. તેના સામો અા, નિર્મળ અપવાદ સરસ્વતીચંદ્રના કાનમાં પેંસતાં જ ચિત્ત વીંધાયું, “અર૨૨૨૨ ! અા પિતા ! અા બોલે છે શું ! અાનો ઉત્તર દેવાની કાંઈ જરુર નથી ! પ્રિય કુમુદ – મ્હારા ચિત્તમાં અને ઈશ્વરને ઘેર ત્‍હારો પવિત્ર ઉત્કર્ષ સિદ્ધ છે. આ અપવાદ ત્‍હારી પવિત્રતાનું તેજ વધારે છે ."

તે રાતો પીળો થઈ ગયો. રોષ તેના આખા અંગમાં વ્યાપી ગયો. મ્હોં લાલચોળ થઈ ગયું. તેની સહનશક્તિ ઘણી હતી પણ તે પોતાની જ બાબતમાં હતી. “મ્હારી કુમુદ ! ત્‍હારી બાબતમાં આ કેમ સહું - હું ઈશ્વરનો અપરાધી ન થાઉં ? ” આટલું છતાં સર્વ વિકાર તેણે ચિત્તમાં જ રાખ્યો, પ્રિય વસ્તુની વિમાનના પ્રિય પિતાને હાથે જ થતી જોઈ તીવ્ર વેદના થવા લાગી તે જણાવી નહી, અને એક શબ્દ બોલ્યા વિના પુત્રે પિતાના શબ્દપ્રવાહનો રજ પણ પ્રતિરોધ ન કર્યો.

સદયનિર્દયપણાનો ભેદ ન સમજનાર શેઠે જેટલું ક્‌હેવાયું એટલું કહ્યું. વિદ્યાચતુરની પરીક્ષા કરવામાં પોતે છેતરાયો, ગુમાનભણી દયા દર્શાવી, તેના પ્રતિ સરસ્વતીચંદ્રના વ્યક્તાવ્યક્ત ધર્મ કહી બતાવ્યા, કુમુદસુંદરી અાગળ ઘેલા બની જવાનો પુત્ર પર આરોપ મુક્યો, સ્ત્રી અને શ્વશુરને વશ થયેલાં માણસ બાયલાં કહેવાય એ ભાન આપ્યું. વાલુકેશ્વરનો બંગલો વગેરે વિષયમાં પૈસા