પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૯

ચંદ્રકાંત ચમક્યો, મિત્રને ઉઠાડી, સામું જોઈ ધીરજ આપી: "ભાઈ ભાઈ – આ શું ? ધૈર્ય રાખો ! શું છે આ ?”

“ચંદ્રકાંત ! ચંદ્રકાંત ! કાંઈ ક્‌હેવાનું નથી. ધૈર્ય જ છે. શું હોય ! કાંઈ નથી?”

“ત્યારે આ શું ?” ચંદ્રકાંતનું હૃદય ઓગળ્યું અને ધડકવા લાગ્યું.

"કહીશ.”

પોતાની મેળે જ અાંખો લોહી પિતાની સાથે બનેલા સર્વ વર્તમાન ધીરજથી કહી બતાવ્યા. પોતે ધૂર્તલાલને સર્વ સોંપી દીધું તે પણ કહ્યું અને એકદમ હૃદય કઠણ થઈ ગયું હોય એમ ટટાર થઈ બેઠો.

“ચંદ્રકાંત, મ્હારું મન આજ આટલું નિર્બલ ઘડીક થયું તેથી મને ઘણી શરમ આવે છે. પણ શું કરું ? હું છેક અામ ન્હોતો જાણતો. હશે. ઈશ્વરને ગમ્યું તે ખરું."

“ભાઈ શા વાસ્તે આમ કરો છો ? તમારો દોષ નથી. પણ તમે , આ ઉતાવળ કરી તે ઠીક ન કર્યું.”

“ચંદ્રકાંત, પિતાનું દ્રવ્ય અાજથી મ્હારે શિવનિર્માલ્ય છે !”

“ શાંત થાઓ. એમ શું બોલો છો ? કાંઈ તમારે સારું માર્ગ નથી . એમ તો નથી ?"

“ના, ના, તે માર્ગ નથી જોઈતો મ્હારે. માર્ગ ન હોય તે ત્યાગ । કરે એ તો व्रुध्धा नारी पतिव्रता. પિતાના મનમાં એમ જ આવ્યું કે હું દ્રવ્યને લીધે જ એમનો સંબંધી છું. હવે એમને મ્હારી ચિંતા નથી - મ્હારો વિશ્વાસ નથી. ભલે ચિંતા નથી તો સારું છે. અવિશ્વાસ હું દૂર કરીશ. એ સર્વ દ્રવ્ય હું ગુમાનબા અને ધનભાઈને આપી દેઉ છું. ઈશ્વર એ દ્રવ્ય તેમના હાથમાં અચલ રાખો. મ્હારે મન નિર્ધનતા કઠણ નથી.”

" જાઓ, જાઓ, એમ શું કરો છો ? ઈશ્વરે તમને વિદ્યા ક્યાં નથી અાપી ?"

“વિદ્યા વેચવા હું ઈચ્છતો નથી. પેટની મને ચિંતા નથી. દ્રવ્ય મ્હારે જોઈતું નથી – તે નિરુપયોગી છે. તને ખબર છે કે માત્ર પિતાના સ્નેહને વાસ્તે જ હું સંસારી હતો, અને એ સ્નેહ હવે નથી !”

“ કોણે કહ્યું કે દ્રવ્ય નિરુપયોગી છે ?”