પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

નણંદ ભોજાઈ વચ્ચે દેખાવમાં, સ્વભાવમાં અને આચારવિચારમાં દેખાઈ આવે એટલો ફરક હતો; અને તેનું કા૨ણ ઘણે અંશે તેમના કુટુંબ, ઇતિહાસ, અને શિક્ષણમાં હતું. તે ફરકનાં બીજ ઈશ્વરે તો જન્મથી જ મુકેલાં હતાં પણ તે બીજનો વિકાસ આ બાહ્ય કારણોથી પ્રફુલ્લ થયેલો હતો.

અલકકિશોરી સ્ત્રીવર્ગ જેને 'જાજરમાન'*[૧] કહે છે તે પ્રકારની હતી. તેનો રંગ સોનેરી ગોરો તથા મધ્યાહ્નના તાપની પેઠે ચળકાટ મારતો હોય તેવો હતો એટલે પાસે આવનારી નજર તેના ભણી સહસા ખેંચાતી અને અંજાતી. તેના સર્વ અવયવોનો ઘાટ પ્રમાણસર પણ મ્હોટો હતો એટલે જોના૨ની આંખ એકદમ ભરાઈ જતી. તેના હાવભાવ ચંચળ, પ્રબળ, અને પ્રતાપી હતા તેથી તેની સામે ઉભા રહેનારનું હૃદય સભાક્ષોભના જેવો ક્ષોભ પામતું અને ગરીબ બની જતું. અમલ ચલાવતી હોય તેવી રીતે તેને બોલવાની ટેવ હતી; તેની સાથે વાત કરનાર માણસ, વાત કરતા સુધી અને એની પાસેથી છુટતા સુધી, સ્વાભાવિક પરાધીનતા ભોગવતાં; અને જેમ બુદ્ધિધનનો દોર તેના અમલથી ચાલતો તેમ અલકાબ્હેનનો દોર તેના દૃષ્ટિપાતથી ચાલતો. સાધારણ બુદ્ધિના લોકનું એમ માનવું હતું કે આ સર્વનું કારણ તેના શરીરની સુંદરતા છે. આમ માનવામાં તેઓનો દોષ ન હતો, કારણ ભભક ધમકથી અંજાયલી તેમની દૃષ્ટિયોની વિવેક-શક્તિને પક્ષાઘાત થતો. ખરું અને ઝીણવટથી તપાસી જોનારને અથવા તેની ગે૨હાજરીમાં સ્મરણ આણી વિચારનારને અલકકિશોરીમાં વધારે વધારે ખોડો માલમ પડતી; પરંતુ તેવાઓને પણ તેના રૂઆબ આગળ લાચાર દીલના બની જવું પડતું. આવું છતાં કોઈ પણ માણસનું મન બંડ કરવા ચ્હાતું તો આ પ્રતાપી હરિણાક્ષીના જોબનનો ઉકળાટ તેનું ગુમાન ઉતારી દેતો અને એનો નિરંતર મચી રહેતો તનમનાટ તેને દિઙ્‌મૂઢ બનાવી દેતો. આા આકર્ષણ–શક્તિને લીધે આ ઉન્મત્ત યૌવનવાળીની આસપાસ કચેરી ભરાઈ ર્‌હેતી જેમાં તે પોતે શક્તિ જેવી શક્તિ ધરાવતી હતી.

અલકકિશોરીની મા સૌભાગ્યદેવી માત્ર એક સાધારણ રૂપગુણની સ્ત્રી હતી અને તેનાં ઠરેલપણાને લીધે બુદ્ધિધન તેને ચ્હાતો. તોપણ અલકકિશેરી ન્હાની હતી ત્યારથી જ બાપને હાથે ઘણું લાડ પામી હતી અને ઉમ્મરમાં આવવા પછી પોતાના જલદ મીજાજને લીધે, ન્હાનપણમાં ન દેખાડેલો અંકુશ હવે દેખાડવા કોઈની શક્તિ ન હોવાને લીધે, વ્યવહારમાં ગુંચવાઈ રહેતા બુદ્ધિધનને ઘરખટલા ઉપર ધ્યાન આપવા અવકાશ ન


  1. * जाज्वल्यमान