પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૩


એટલું બોલતાં બોલતાં તે ગળગળો થઈ ગયો. વળી સજજ થઈ બોલ્યો:–

“તું કહીશ કે તમે જુદા ર્‌હો અને કુમુદ સુખી થશે. પણ એટલું શાને જોઈયે ? પિતાથી જુદાં વસવું – તેમની દ્રષ્ટિયે પ્રતિસ્પર્ધી જેવા લાગીયે – એ તો કલ્પના પણ દુઃખકર છે. વધારે દુઃખકર એટલા માટે કે એથી પિતા દુ:ખી થાય અને તેમની જ અપકીર્તિ થાય તે મ્હારે જોવી પડે. એમનું સુખ એ મ્હારું લક્ષ્ય છે.”

"પ્રસિદ્ધપણે જુદો રહું તેના કરતાં અપ્રસિદ્ધતામાં લીન થાઉં તો કાંઈ હરકત નથી. એથી કાંઈ અપકીર્તિ થશે તો મ્હારી જ થશે અને તેનો મને ડર નથી. મ્હારી ખોટ ધનભાઈથી સપુત્ર પિતાને પડનાર નથી. ગુમાનબાને મનથી ફાંસ જશે. પિતા સ્વસ્થ થશે. મ્હારાપર પ્રીતિ નથી એટલે પિતાને વિયોગદુઃખ થવાનું નથી. આટલા શ્રીમંત એમને જોઈને જાઉં તો એમની બાબત હું નિશ્ચિત રહીશ.”

“મ્હારા મનમાંથી તો એ ખસવાના નથી. પણ કુમુદ વિસરાવાની નથી તે એક દુ:ખ છે તો આ બીજું ? તું પણ ક્યાં વિસારે પડે એમ છે ! ચંદ્રકાંત, પણ તું તો વ્યવહારજાળમાં લપટાયલો ૨હીશ. અને તેમાં તથા દેશસેવામાં ગુંથાતાં મને સંભારવાનો અવકાશ નહી મળે – પણ પિતાને કદીક સાંભરી અાવું તો તેમને આશ્વાસન આપજે, હોં ! તને પણ સાંભરીશ પણ વિદ્યાનો ઉપયોગ મને વિસારવામાં કરજે ! ચંદ્રકાંત, પિતાની સંભાળ રાખજે ... મને તું પણ સંભારજે–”

ચંદ્રકાંતનું અંતઃકરણ નરમ થઈ ગયું: તેનું હૃદય ભરાઈ આવ્યું. મિત્રનો હાથ ઝાલી બોલ્યો –“ શું મિત્ર, આમ શું કરો છો ? હું ધારું છું કે તમે બોલો છો એટલા નિર્દય નહી થાઓ.”

ચંદ્રકાંત વ્યાવહારિક દ્રષ્ટિવાળો હતો. બીજી વાતમાં મિત્રને નાંખવાથી તેના તરંગ શાંત થશે એમ ધારી ચાલતી વાત ભુલાવી બીજી વાતો ક્‌હાડી. સરસ્વતીચંદ્ર શાંત થયો લાગ્યો અને રાત્રિના અગીયા૨ વાગે બે મિત્રો જુદા પડ્યા - જુદા પડતાં પડતાં પાછળ સરસ્વતીચંદ્ર : દોડ્યો અને ચંદ્રકાંતને એક પેટી આપી કહ્યુંઃ “ચંદ્રકાંત, અા અત્યારે ત્હારી સાથે લેઈ જા. એ વીશે કાંઈક સૂચના મ્હારે તને પ્રાત:કાળે કરવાની છે."

“મિત્ર, મને એમ થાય છે કે આજ હું અંહીયા જ સુઉં.”

“ના, ના, ગંગાભાભી મને બે ઘડી શાપ દે.”

“ના, નહીં દે. પણ મને તમારા ચિત્તનો વિશ્વાસ પડતો નથી.”