પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮

યુક્તિ. પણ આપણે યે એટલું તો સમજીએ. નાકે છી ગંધાતી નથી.”

રાતીચોળ આંખ કરી શેઠ શેઠાણીના ભણી જોઈ રહ્યા અને આખરે બોલ્યાઃ “જો આજ હું ત્હારો નથી, હોં ! ત્હારા પેટમાં ન બળે પણ મને તો બળે."

આ નાટક ભજવાતું હતું અને કણકની પેઠે શેઠને કાંઈક નરમ કરી દેવામાં ગુમાન ફાવી શકી એટલામાં ચંદ્રકાંત આવ્યો.

શેઠ ઉઠ્યા અને એક એકાંત ખંડમાં ચંદ્રકાંતને લઈ ગયા. ગુમાન પાછળ આવી. શેઠે તેને બારણે ક્‌હાડી બારણે સાંકળ દેઈ પાછા આવી ચંદ્રકાંત પાસે બેઠા. તેમનું હૈયું ભરાઈ આવ્યું. પુત્રના ગુણ સાંભરી આવ્યા. ધૂર્તલાલને તથા પોતાને હવાલો સોંપી દેવામાં તેણે જે ઉતાવળ કરી હતી તે સાંભરી આવી, પોતે તેને કઠન વચન કહ્યાં એમ લાગવા અને સાલવા માંડ્યું.

“ચંદ્રકાંત, તું બધું જાણતો હઈશ - હા - ત્હારા મ્હોં ઉપરથી લાગે છે - તને ખબર હશે – મને ક્‌હે – આ એને શું સુઝયું ? એના વિના હું ઝેર ખાઈશ, હોં” શેઠે ટેબલ ઉપર માથું કુટ્યું. ચંદ્રકાંત શેઠને ત્હાડા પાડ્યા. ડોશીવાળો લેખ કેમ થયો, તે લેખ કરવામાં સરસ્વતીચંદ્રે કેવી હરકત કરી હતી અને લેખની બાબતમાં તે કેવો અજાણ્યો હતો, શેઠના જ વચનથી તેના મનમાં કેટલું ઓછું આવ્યું હતું, ઈત્યાદિ સર્વ વાત કહી. વાત કરતાં કરતાં સરસ્વતીચંદ્રવાળો કાગળ હવે આપવો કે નહી તે વિચાર કર્યો. ન આપવો તે અપ્રામાણિક લાગ્યું. આપ્યા પછી પાછો માંગવો તે ઠીક ન લાગ્યું. આપતાં હરકત એ કે ચિત્ત ફરી જતાં શેઠ એ કાગળને ફારકતીરૂપ ગણી દે અને વહુની રીસ અને સાસુનો સંતોષ થઈ જાય – તેનું શું કરવું એ વિચાર થયો, અંતે “જોઈ લેઈશું” કરી કાગળ શેઠના હાથમાં મુક્યો. ભેાજે લોહીના અક્ષર મોકલ્યા તે વાંચી મુંજને થયો હતો તેવો જ વિકાર કાગળ વાંચતાં શેઠને થયો. ખરી વાત જાણ્યાથી, પુત્રની નિર્મળ વૃત્તિ અનુભવ્યાથી, આંખમાં ખરખર આંસુ ચાલવા માંડ્યાં, ગુમાન અને ધૂર્તલાલ ઉપર તિરસ્કાર અને ધિક્કારની વૃત્તિ થઈ અને કાગળ એક - પાસે મુકી દીન વદનથી ચંદ્રકાંતને ક્‌હેવા લાગ્યા; “ચંદ્રકાંત, ભાઈને બતાવ, તું જાણે છે – ગમે તે કર, ભાઈને આણ, નહી ચાલે.” ચંદ્રકાંતે કાગળ હાથમાં લઈ લીધો અને ફાડી શેઠના દેખતાં જ ચીરા ઉરાડવા માંડયા અને લાંબા ચીરા કરી પાછા તેના કડકા કરતાં કરતાં બોલ્યોઃ

“શેઠ, મ્હેં કહ્યું કે મને ખબર નથી તે સાચી વાત છે.” કાગળ ફડાતો શેઠે દીઠો, પણ સર્વ વ્યાપારરોધી ચિત્તવિકાર મનોવ્યાપી[૧] થઈ જવાથી


  1. Absorbing