પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૮

" દેવી–માતુ:શ્રી ! તમારે સારું લીધેલી પ્રતિજ્ઞા હું આજ તરી ઉતર્યો ! શઠરાય – દુષ્ટરાય - તમને ફળ ચખાડ્યું. પિતાજી, તમારો અભિલાષ પુરો પાડ્યો – મ્હોટી પદવીએ હું પહોંચી ચુક્યો. ત્યાં કાયમ ર્‌હેવું જ એવું વાક્ય તમે ક્‌હાડ્યું નથી. કારભાર સ્વીકારવો એ પ્રતિજ્ઞા મ્હેં કદી લીધી નથી. ઘરમાં રહી વાનપ્રસ્થ સ્વીકારવું – તો, દેવી, ત્હારો અભિલાષ હજી પુરો થવો બાકી છે. ઈશ્વરે ખાવા જેટલું આપ્યું છે. કારભાર રાણો મરજી પડે તેને આપે: એની ઈચ્છા હશે તો વિદ્યાચતુરને અા જગાએ લાવીશું એટલે પ્રમાદની પણ ચિંતા નહી ર્‌હે. હું અને મ્હારી દેવી - પુત્રને ગૃહસંસાર સોંપી - વનમાં જઈશું ! બસ – અા કડાકુટો ક્યાં સુધી કરવો – વળી ચિંતા કરવી – શું કરવાને ?”

અાનંદમાં મગ્ન થતો થતો, પ્રસન્ન થયેલા ભાગ્ય પાસેથી વિશેષ પ્રસાદ માગી નિરાશ થવાનો સંભવ ન ર્‌હે એવી ઈચ્છા કરતો કરતો, સ્મશાન - વૈરાગ્યના ભાઈ ઉત્સવ - વૈરાગ્યમાં મગ્ન થતો થતો, બુદ્ધિધન ઉઠ્યો. તપાસ કરતાં માલુમ પડ્યું કે રાણાજી હજી વાળું કરી રહ્યા નથી. ચૈત્રી રાત્રે પરસેવો થતો હતો. 'રાણા ક્‌હે એટલે બોલાવજો ' કહી બાગમાં એક ફુવારા પાસે બેસવા સારું ચાલ્યો અને ચાલતાં ચાલતાં અંધકાર ભરેલા જગતને માથે વિશાળ આકાશમાં ચમકારા કરતા તારામંડળને જોતો જોતો ચાલ્યો અને ન્હાનપણમાં પોતાના પાડોશી શાસ્ત્રીમહારાજ પાસેથી મ્હોંયે કરેલા શ્લોક સ્મરવા લાગ્યો.

"भ्रान्तं देशमनेकदुर्गविपमं प्राप्तं न किञ्चित्फलम्
त्यकत्वा जातिकुलाभिमानमुचितं सेवा कृता निष्फ्ला ॥
भुक्तं मान्विवर्जितं परगृहे साशंकया काकवत्
तृप्णे दुर्मतिपापकर्मनिरते नाद्यापि संतृप्यसि ॥"[૧]

શઠરાયને ઘેર બાળપણમાં જમતો ને એ અવસ્થા સાંભરી અાંખમાં અાંસુ આવ્યા જેવું થયું. ફુવારો આવ્યો. ત્યાં આગળ મુંબાઈથી મંગાવેલા લોખંડના બાંક હતા તેમાંથી એકપર બેઠો

"खलोल्लापा: सोढा: कथमपि तदाराधनपरै-
र्निग्रुह्यान्तर्वाप्यं हसितमपि शून्येन मनसा ॥"


  1. ૧.અનેક દુર્ગમ સ્થાનોથી વિકટ બનેલા દેશોમાં ભમ્યો:– કાંઇ પણફળ ન મળ્યું ! જાતિ અને કુળનું ઉચિત અભિમાન પડતું મુકી સેવા કરી – તે નિષ્ફળ નીવડી ! પરઘેર માનવિનાનું ખાધું - તે બ્‍હીતાં બ્‍હીતાં કાગડાનીપેઠે દુર્મતિ અને પાપકર્મ ઉપર જ પડેલી ઓ તૃષ્ણા ! હજી તને સંતોષનથી વળતો !