પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૪
“વેર્યા કુસુમ નવરંગ એમાં ઝીણઝીણા મેહથી.
“શાંત એનું નિરખી મુખ મુજ સુખનદી ના થોભતી,
“નારંગિ રંગે સાળુ સુંદર પ્હેરિ સખિ શી શોભતી !
“ચકચકિત સઉ પ્હેલ ચ્હોડ્યો તારલો સખિ ભાલમાં,
“લાડંતિ અડકું એહને કદિ આવિ જઈ બહુ વ્હાલમાં.
“એવિ એવી રમત વિધવિધ સખીસંગ રમંતિ હું,
“પણ ભેટવા આવે મુને એ ત્યાહરે ચમકી બિહું,
“કેમકે સામેથિ પેલી આવિ કાળી રાક્ષસી,
“મુઈ રાત્રિ, એણે દૂર સખિયો કિધી ક્રૂર વચે ધસી.
“ઊડિ ગઈ મુજ સખી, ઝીણી પાંખ નિજ ઝળકાવિને,
“ને મૂજને તો રાક્ષસીએ પકડિ લીધી આવિને,
“રાખિ કરમાં થોડિ વેળા, પછિ મુને તે ગળિ ગઈ,–
“જાણે નહીં-હું અમર છું ને બેઠિ મુજ મંદિર જઈ !”

“કાળી રાક્ષસી” ઉપરથી કૃષ્ણકલિકા સાંભરી આવી અને હબકી હોય એમ કુમુદસુંદરી ઉઠી અને અગાસીની રવેશ આગળ નીચે રસ્તા પર જોવા લાગી – પાછી આવી. સર્વ દેખતાં વિકૃતિ ઢાંકવા પ્રયત્ન કર્યો. એમ કરતાં કરતાં રાત્રિ પડી. અલકકિશોરી અને વનલીલા ગયાં. કુમુદસુંદરી એકલી પડી અને અંધકારથી છવાઈ જતા આકાશ ભણી જોતી જોતી ઉપરની કવિતા વારંવાર ગાઈ રહી. એ ગાનની અસર તેના પોતાના જ મન ઉપર થઈ: “કૃષ્ણકલિકા ! કૃષ્ણકલિકા ! મ્હેં ત્હારું શું બગાડ્યું હતું !” એમ ક૨તી કરતી છાતીયે હાથ મુકી રવેશને અઠીંગી દુઃખમાં ને દુઃખમાં ચોપાનીયું ઉઘાડું ને ઉઘાડું છાતી પર રાખી નિદ્રાવશ થઈ. દુ:ખી અબળા દુઃખી સ્વપ્નો જોવા લાગી અને નિદ્રામાં ને નિદ્રામાં ડુસકાં ભરતી હતી. બુદ્ધિધનને ખબર ન હતી કે મ્હારા મહાભાગ્યના આવાસના (મ્હેલના) શિખર ઉપર આવે મંગલ સમયે જ મ્હારી કુમુદના ઓઠમાંથી શોકસ્વર જવાળામુખીના ધુમાડા પેઠે આકાશમાં – સ્વર્ગમાં – ચ્હડે છે અને ઈશ્વરની આંખમાં ભરાઈ તેને રાતી ચોળ કરે છે ! “ સ્ત્રીને પ્રસન્ન રાખજો ! સત્સ્ત્રી અપ્રસન્ન થઈ – દુભાઈ – ત્યાંથી લક્ષ્મી પાછી ફરવા માંડે છે.” એ મનુવાક્ય – એ આર્યશ્રદ્ધા ખરી પડતી હોય તેમ કુમુદ ડુસકાં ભરતી હતી તે સમયે રાણાના બાગમાં બાંકઉપર સુતેલા બુદ્ધિધનના મસ્તિકમાં ઉચ્ચાર થતો હતો કે “મ્હારે તો આ કારભાર નથી જોઈતો !”

કલાકેક આમ સુઈ રહી એટલામાં પલંગ પર પથારી કરી દાસી