પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૨૧

કોમળ સરસ્વતી ગાનરૂપે આવી ઉભી. એ હાથ અને મુખ પવનમાં ઉંચા કરી દીનવદને ગાયું:

“ અનાથનકે નાથ ! ઓ ધાયે ! પ્રભુ અનાથકે નાથ ! ( ધ્રુવ )*[૧]
“ શ્રીકૃષ્ણ પ્‍હોડ્યા દ્વારિકામાં, ઝબકીને જાગ્યા નથી શ્રીનાથ !
“ તત્ક્ષણ ઉઠીને ઉભા થયા, પ્રભુ ચૌદ લોકનો નાથ, ધાયે૦ ૧.
“ રુકિમણી લાગ્યાં પુછવા – સ્વામી, કો કારજ છે અાજ ?
“ –પાંચાલી પાંડવતણી ! તમે શેં ન જાણો એ વાત ? ધાયે૦ ૨.
“ આજ મ્હારી દાસીને મહાદુઃખ પડ્યું મ્હારે તત્‌ક્ષણ જાવું રે ત્યાંય !
" ગોવિંદ ક્‌હે-'લાવો ગરુડને, મને પછી પુછજો એ વાત !” ધાયે૦ ૩
“ ગરુડ મુક્યા મારગે, જાણ્યું રખે પડતી રાત !
“ નરસૈયાના રે સ્વામી સંચર્યા રે' દ્રોપદીએ નીરખ્યા શ્રીનાથ ! !
“ ધાયો પ્રભુ અનાથનકો નાથ –
" ધાયો પ્રભુ અનાથનકો નાથ !"
“ ધાયો – ધાયો તું પ્રભુ અનાથનકો નાથ !”

“ હા ! – ધાયો – ધાયો - તું વિના બીજું કોણ અામ મ્હારી વ્હારે ચ્‍હડે ? ઓ મ્હારા પ્રભુ !” છેલી કડીયો, ઉંચું જોઈ હાથ જોડી, બોલતાં બોલતાં, જીભને જોર અાવ્યું, મ્હોં મલકાઈ ગયું, સ્વર કોમળ, મધુર થયો, અાંખો ચળકવા લાગી, પવિત્રતાની પેટીઓ જેવાં સ્તનપુટ ! ઉત્સાહથી ધડકવા લાગ્યા, અને રોમેરોમ ઉભાં થયાં. “દ્રોપદીયે નીરખ્યા શ્રીનાથ” ક્‌હેતાં ક્‌હેતાં હૃદય નવી આશા - નવા ઉમળકા – થી ફુલ્યું અને છાયા ભણી સ્નિગ્ધ ભીની અાંખ જોઈ ૨હી. માતાને બાઝી પડતી હોય તેમ છાયા ભણી હાથ પ્રસાર્યા. ઉપકારનાં અનિવાર્ય અાંસુ બંધ ન રહ્યાં, ખાળ્યાં પણ નહી, અને માતા જેવી છાયાને પગે પુષ્પવૃષ્ટિ પેઠે પડ્યાં. શાંત થતી ઉપકારથી સ્ફુરતી છાતી પર હાથ મુકતી ગાયેલું ફરી ફરી ગાવા લાગી અને બીજે હાથે દ્વારની સાખ પકડી હાંફતી હાંફતી ઉભી ૨હી. કંપતી કાયાને ટેકવનાર મળ્યું. રાક્ષસના હાથમાંથી છોડાવી માતા પુત્રીને છાતીયે ડાબતી હોય તેવી પુત્રીની સ્થિતિ અનુભવમાં આવી. ઈશ્વર કીયે માર્ગે રક્ષણ કરશે તેની કલ્પના કરવા ક્ષુદ્ર માનવી ક્યાંથી પામશે ?

ઉપકારનો ઉભરો શમવા આવતાં તેમાં પશ્ચાત્તાપનો પ્રવાહ ભળ્યો, રોતી-અાંસુના પટથી ઢંકાતી–અાંખ પવિત્ર હૃદયને વશ થઈ અને હૃદય સ્વતંત્ર થવા પામ્યું. થાકેલો પગ જરાક ખસતા સારંગી અથડાઈ અને


  1. * વર્તમાન સ્તવનોમાંથી, 'અનાથનકે' એ ભાષાશબ્દ લાડતી ભક્તિનીસીમાના છે