પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૩૧
“ સુવર્ણપક્ષની જશે ભભક ભળી, તે સમય તુજ કીર્તિને,
“ જોઈ જોઈ પૃથ્વી પરથી પૂજીશું – ઉરમર્મથી અનુમોદીને. ૬
“ નહી ઉડાયે પોતાથી – પણ પ્રિયનાં વિમાનગતિ જોઈ,
“ રાચવું એટલું રહ્યું ભાગ્ય તે રાખ ! નીકર રહીંશું રોઈ ૭
"સ્નેહ પોતાનું માણસ પૃથ્વીના પડમાં સંતાયેલું હોય ત્યાંથી શોધી ક્‌હાડે છે. ચર્મચક્ષુ છેતરાય પણ હૃદયની એળખવાની શક્તિ ઓર જ છે. બાહુક દમયંતીથી ઢાંક્યો ન રહ્યો.”
“ક્‌હેનારે ક્‌હેવાનું કહી દીધું. ફળદાતા પોતે જ પરછીય બન્યો – ત્યાં હજી કેટલે દૂર નહી થાય તે તેના વિના બીજું કોણ જાણે ? સ્‌હેનાર સહેશે - હજી કેટલું સહન કરાવવું – તે ત્હારા હાથમાં છે.”
“ લા. કોણ તે કહ્યે ત્હારી પાસેથી શો લાભ છે? ”


કાગળ લખી રહી અને હાથમાં લીધો.

“આ પત્ર હું એમના ખીસામાં મુકીશ - અને જાગતા હશે તો એમના ઉપર નાંખી પાછો આવતી રહીશ, એમની સાથે બોલીશ નહી. એમના સામું જોઈશ નહી. અંબા, મ્હારી સાથે ચાલ.”

આટલું બોલી એકદમ ઉઠી અને જાણ્યે તેવા જ અજાણ્યે લખાયલા સર્વે લેખોનું પાત્ર થયેલા પત્ર - મેઘને ચંદ્રલેખા જેવી બનેલી હાથેલીમાં લટકતી રાખી ખચક્યા વિના ચાલી. જે દ્વાર ઉઘાડવા જતાં આકાશ અને પાતાળ એક થઈ ગયાં હતાં તે દ્વાર પળવારમાં પગલતે હડસેલી ઉઘાડ્યું અને પોતે અંદર આવી ઉભી.

અંદર કોઈ હતું કે ? તે કોણ હતું ? તે શું કરતું હતું ? કુમુદસુંદરીને અા અપ્રસંગે જોઈ તેના મનમાં શું આવ્યું અને તેણે શું કર્યું ?

બુદ્ધિધનની સાથે મોડી રાત્રે ઘેર આવી નવીનચંદ્ર પોતાની મેડીમાં અાવ્યો. આખા દિવસનાં તર્કભર નાટક, બુદ્ધિધનનું પ્રથમ વિકસતું દેખાતું કારભાર-તંત્ર, કાલ શું થવાનું છે તેની કલ્પના, પોતાનું ઘર, કુમુદસુંદરી, પોતાને નીકળવાનો વિચાર, અને તે સંબંધી સર્વે યોજનાઓ આ સર્વે વિષય નવીનચંદ્રના મસ્તિકમાં ઉભરાવા અને વધવા લાગ્યા અને કોમળ નિદ્રા માહીતી માત્ર દૂર ઉભી રહી.

ખાટલા ઉપર તેને ચટપટી થઈ. અધુરામાં પુરું જોડની મેડીમાંથી કુમુદસુંદરીના અવ્યક્ત સ્વરે અને તેમાં વાળતા સૂક્ષ્મ રુદિને દ્વારનું અંતર ન જેવું કર્યું અને ઉભય નવીનચંદ્રના કાન પર દુ:ખઘોષણા પેઠે વીંઝાવા લાગ્યા. નિદ્રા ન જ આવી એટલે તેણે ખાટલાને ત્યાગ કર્યો અને ગાંસડી