પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭

વાક્યો બોલી ટોળ કરતાં. અત્યારસુધી ઘરમાં સર્વનો વખત આ નિર્દોષ અને નવીન આનંદમાં ગયો હતો. કુમુદસુંદરી સાસરે આવી ત્યારપછી પણ તરતમાં તો સરસ્વતીચંદ્રને સંભારી સંભારી છાની છાની રોતી, લાગ મળ્યે નિ:શ્વાસ મુકતી, પણ બધાં બેઠાં હોય ત્યારે તેમની રમત ગમતોમાં તથા ઉત્સાહમાં શૂન્ય હૃદયથી ભાગ લેતી, ફીકા હાસ્ય વડે મર્મશોકપર ઢાંક પીછોડો કરતી, લજજાળુપણાને નામે સઉ ચાલ્યું જતું, અને હૃદયશંકુનાં ઉપજાવેલાં અાંસુ આનંદનાં અાંસુમાં ગણાતાં. પ્રમાદધનસાથે મન મેળવવા ઈચ્છતી અને પ્રયત્ન કરતી, પરંતુ તેનું હૃદય માત્ર ઘસડાતું અને ઘસડાતાં ઘણાક ઘા ખમતું. આમ છતાં કાળના પ્રવાહનું બળ, નવીન સૃષ્ટિનો અનુભવ, બીજા સઉના આનંદની ભરતીને વેગ, પોતાનાં બાળક મનની સ્થિતિસ્થાપકતા, ઈશ્વરઈચ્છાને શરણ થવાની આવશ્યકતાબુદ્ધિ, નિરુપાય વાતને નીભાવી લેવાનો શાણો વિચાર, અને નવા પતિના સંબંધને લીધે હવે પરપુરુષ બની ગયલાની કલ્પના પણ કરવી એ પતિવ્રતાધર્મથી વિરુદ્ધ છે એવું જ્ઞાન: આ સઉને લીધે બલવાન બાળકીએ પોતાના મનને તંગ ખેંચી હળવે હળવે સ્વાધીન કરી લીધું હતું અને સમય-ધર્મને અનુસરવા લાગી હતી. પાછલી વાત વિસારે પડવા માંડી હતી, અને પ્રસન્નતા તેના મુખ ઉપર ભાસતી હતી; માત્ર એટલું હતું કે આ પ્રસન્નતા પ્રાતઃકાળની ચંદ્રલેખા જેવી હતી. ગુણસુંદરી વિના તેને કળી શકે એવું કોઈ હતું નહીં. તે પાસે હત તો આ જોઈ તેનું વત્સલ હૃદય ફાટી જાત. પ્રમાદધન માત્ર આનંદની સપાટી ઉપર જ તરતો હતો. એને તથા સઉ જોનાર મંડળને કુમુદસુંદરી સુખની સીમા ભોગવતી પ્રત્યક્ષ પ્રમાણથી લાગતી હતી અને પરોક્ષ પ્રામાણ સઉને પરોક્ષ હતાં.

પિતાના ઘરમાં મળેલા તેના સંસ્કારને ઉછેરનાર સાસરે કોઈ ન હતું. પ્રમાદધને શાળામાં વેઠીયાવાડથી અભ્યાસ કરેલો હતો; અને ઉમ્મરમાં આવ્યે વિદ્યાવસ્થામાં પરતંત્રતા લાગવાથી, શાળામાં ન્હાનમ લાગવાથી, અભ્યાસ કંટાળાભરેલા વૈતરા જેવો થવાથી, વિદ્યામાં નિર્ધન પુરુષોની ઉપજીવિકાના સાધનપણા વગર બીજું ફલ ન દેખાવાથી, વિદ્યામાં બીજું કાંઈ ફલ હોય તો તે ફલ ભણેલાઓને નોકર રાખી તેમની પાસેથી લેઈ શકાશે એવી સમજ હોવાથી, વિદ્યાના ભંડારના નમુનામાં શાળાના માસ્તર નજર આગળ હતા તેને સઉ ખાલી માન આપતા પરંતુ રાજ્યકાર્યમાં તેમની સલાહ લેવાની પણ કદી કોઈને જરુર લાગતી ન હતી. તે જેવાની ટેવ હોવાથી, ઈંગ્રેજી વિદ્યામાં માત્ર સ્વભાષા અને રાજભાષાનું જ મહત્વ લાગવાથી, સંસ્કૃત ભાષા માત્ર શાસ્ત્રી પુરાણી જેવા પૂજનીય પણ ભિક્ષુક વર્ગને જ ઉપયોગી