પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨

સિંહના કરતાં કોળી તરકડાંનાં છોકરાં મને વધારે વહાલાં નથી. હું મ્હારાથી ચાલતો બંદોબસ્ત કરીશ.”

ગરબડદાસ:–“ પણ આજ રાત્રે જ સઉ નકકી થઈ જાય તો ?”

જડસિંહ –“ ભાઈ, કોણ જાણે. હું તો કારભારીને કહીશ એ જાણું. હું બીજું શું કરું ?”

ગરબડદાસ:–“ત્યારે તમારાથી જાતે મદદ નહીં થાય ?”

જડસિંહઃ–“જાતે તે કાંઈ હું પોલીસનું કામ કરું ? મળો કારભારીને.”

આવ્યા હતા તેવી જ ઝડપથી સઉ જણ ઘોડા દોડાવતા પાછા દોડ્યા. સુવર્ણપુરમાં ગભરાટ થઈ રહ્યો અને કારભારી રાજમ્હેલે આવ્યો. રાણાએ વાત કહી તેથી સંતોષ ન વળ્યો અને આમ આવ્યા અને અામ ગયા તે કંઈ આટલાથી સંતોષ પામી ન જાય એમ ધાર્યું. લીલાપુર અને સુવર્ણપુર વચ્ચે ઝાઝું છેટું ન હતું. ગરબડ તરત પહોંચ્યો અને બુદ્ધિધનને સમાચાર કહી બોલ્યો: “રાણો જાતે કાંઈ કરી શકે તેમ નથી તે તમને ખબર છે. કોળી ને તરકડાં એટલું તો એના મ્હોંમાંથી નીકળી ગયું. વાત મુદ્દે ખરી છે. ત્યાં વધારે ર્‌હેવાથી લાભ નથી જાણી અમે પાછા આવ્યા.”

થોડી વારમાં શઠરાયનું માણસ દોડતે ઘોડે આવ્યું અને તેની સલામ કહી બુદ્ધિધન પાસે બાતમી માગી. બુદ્ધિધન ક્‌હે: “મ્હારાથી આ બાબતમાં ઝાઝો ભેદ ખોલાય નહી. કંઈક ગોલાં તરકડાંના છોકરાંની વાત અને કારભારી જાણે છે એવી વાત રાણાજીએ કરી છે. બીજુ સઉ સાહેબ જાણે. શઠરાય તરત સઉ માંડેલી વાત બંધ કરશે તો ઠીક છે.” માણસ ગયું. બુદ્ધિધન પાસેથી બે હજાર રુપીયા લેઈ ગરબડદાસે મેરુલાને આપ્યા અને તેની મદદથી તરકડીનું ઘર શોધી ક્‌હાડ્યું અને એક બે સ્વાર ત્યાં રાખ્યા અને પોતે, ભૂપસિંહ અને એક એ સ્વાર રાણીના મહેલની પડોશમાં સંતાઈ રહ્યા. કારભારી ગભરાઈ ગયો. વધારે વાર લગાડ્યાથી વધારે તપાસ થશે અને માણસ ફુટ્યાં એટલે ભોપાળું બ્‍હાર પડશે અને સાહેબ આગાડી તપાસ કરાવશે તો રાણાનું ઠેકાણું નહી એટલે કોણ જાણે શું પરિણામ થાય. રાણીને દિવસ છે એવું જાહેર કર્યું હતું માટે પોતાનું મંડળ એકઠું કર્યું. રાત્રે ને રાત્રે વિચાર કર્યો અને એક બે દિવસમાં ૨ાણીને મુવેલી દીકરી અાણી દટાવી દીધી તથા જીવતો કુંવર અાણવાનો વિચાર સઉ વાત ત્હાડી પડ્યા પછી કરવાનો રાખ્યો.

એવામાં બસ્કિન સાહેબ તરફથી પત્ર આવ્યો તેમાં જડસિંહને ખોટા પુત્રની બાબતમાં લખ્યું હતું કે,–