પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૮૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૬


પ્રકરણ ૬.
*[૧]રાજેશ્વરમાં રાજ-ખટપટ.
॥ तटस्थ: स्वानर्थान् घटयति च मौनं च भजते ॥

સુવર્ણપુરનું રાજતંત્ર ઘેનમાં પડ્યું હોય તેમ પોતાની મેળે ચાલ્યું જતું દેખાતું હતું અને રાણો તથા અમાત્ય બે શિવાય સર્વ મંડળ ખરેખર ઘેનમાં જ હતું. જોનારને મન એમ જ વિચાર થતો કે આ ઘેન સ્વાભાવિક રીતે આવ્યું હશે અને તેના મન ઉપર અસર થાય એ પણ જાગનારને ઇષ્ટાપત્તિ જ હતી.

આ સર્વે નાટકનો સૂત્રધાર બુદ્ધિધન હજી પડદામાં જ હતો અને વેશધારીયો પણ તેને પોતાના જેવો જ સમઝતા હતા. અમાત્યનું રાણા પાસે ચાલે છે એ શિવાય બુદ્ધિધનને વાસ્તે બીજો અભિપ્રાય કોઈને હતો નહી, પરંતુ આ કુંચીને બળે રાણો જરાપણ–ચાલે-ચલવે-છે-કાંઈ ૫ણ કરે છે એમ કોઈના મનમાં પણ આભાસ થવા પામ્યો ન હતો. સર્વ એમ કલ્પતાં હતાં કે આપણે આપણી મેળે જ ચાલીયે છીયે. પરંતુ આ સર્વ શાંતિનો પણ સૂત્રધાર હતો. પોતાની રંક અવસ્થામાં સળગેલા વૈરનો તનખો તેના મનમાંથી કજળી ગયો ન હતો. પરંતુ તેની હયાતી ભૂપસિંહને પણ ખબર ન હતી. રાણો એમ જ સમઝતો કે બુદ્ધિધન મ્હારી ઈચ્છાઓનો સેવક જ છે અને તેમ ગણી તેના ઉપર નિર્મળ પ્રીતિ ૨ાખતો. પરંતુ બુદ્ધિધને તો ભૂપસિંહને અને તેના સર્વ રાજ્યતંત્રને પોતાના ઉંડા વૈરને સફળ કરવાનું સાધન કરી દીધું હતું. હળવે હળવે એ વૈરભાવની વચ્ચોવચ્ચ નિ:સ્વાર્થ રાજભક્તિ અને મિત્રતા, મહત્તાને અભિલાષ, અને એવા એવા બીજા રમણીય વૃક્ષ ઉત્પન્ન થતા હતા એ ખરું. તો પણ વેરભાવ શાંત થયો ન હતો અને વૈરીયોનાં નિત્ય દર્શનથી તે દૃઢ થતો હતો. ભૂપસિંહનો વૈરભાવ એ પોતાના વૈરભાવનું માત્ર સાધન હતું, જાતે કાંઈ પણ કરવું નહી-કશામાં દેખાવું નહી, પરંતુ સર્વ ફળ સાધન દ્વારા લેવાં; પોતાનો હાથ કોઈ ઠેકાણે દેખાય નહી પરંતુ સર્વના હાથ પોતાના જ ચલાવ્યા ચાલે - ટુંકામાં સૂર્યચંદ્રની પેઠે પોતે આાઘાં ઉભાં રહી અદૃષ્ટ રીતે આખા સમુદ્રની પાસે પછાડા મરાવવા અને પોતે તો માત્ર સર્વ જોયાં કરવું અને ધાર્યું થયું જેવું એ ભૂપસિંહના અમાત્યની પ્રકૃતિ-નીતિ હતી. આમ સ્વાભાવિક રીતે અદૃષ્ટ સાધનો


  1. *પૃષ્ઠ ૨૧ સાથે અનુસંધાન.