પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૯૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૭૮


કાનમાં સ્વર જતાં નવીનચંદ્ર જાગ્યો અને પાછું જોયું. “જરા સંભાળીને ઉઠજો. ઉંઘમાં પાસું બદલતાં તળાવમાં પડાય માટે જગાડ્યા છે.”

“બહુ સારું કર્યું, બ્હેન.”

નવીનચંદ્ર બેઠો થયો. એની અને કુમુદસુંદરીની પળવાર

" મળી દ્રુષ્ટોદ્રુષ્ટ.” *[૧]

નવીનચંદ્રની અાંખ તો આ સ્હેજ હોય એમ પાછી ફરી અને તે પાછો ચોપડી ઉઘાડવા જાય છે એટલામાં મંદિરના દ્વાર ભણી “નીઘા ૨ખો મેહેરબાન” નો પોકાર સાંભળ્યો એટલે રાણો જતો હશે જાણી જોવા ઉઠ્યો અને ચોપડી ત્યાં જ મુકી ઓટલાની પેલી પાસ ગયો.

ગરીબ બીચારી કુમુદસુંદરી ! નવીનચંદ્ર પાછળ એની અાંખ ગઈ, પોતે અને વનલીલા પાછાં ફર્યાં તોપણ અાંખ પાછી ફરી નહી અને એક પાસ અાંખ અને બીજી પાસ શરીર એમ ચા૯યાં. થોડીકવાર પહેલાં જેનો ચીતાર મન અાગળ હતો તેના જેવો જ નવીનચંદ્ર લાગ્યો. “શું એ જ સરસ્વતીચંદ્ર? ભમતા ભમતા અહીંયાં આવ્યા હશે? ના, ના, એમ તો ન હોય. મ્હારી કેવી દશા થઈ તે જોવા અહીંયાં આવ્યા હશે ? ના ના, એમ એ મ્હારા દુઃખની મશ્કરી કરે એવા નથી. પણ છે તો એ જ – હા ક્‌હો કે ના. હશે.” — નિ:શ્વાસ નાંખી – “મ્હારો હવે એની સાથે શો સંબંધ છે ? એનો તો વિચાર જ ક્‌હાડી નાંખવો. એ હોય ત્હોયે શું ને બીજો કોઈ હોય ત્હોયે શું ? ઈશ્વરે જેની સાથે પાનું પાડ્યું તે ખરો, બીજા સઉ ખોટા.” નરમ બની જઈ મ૨જી ઉપરાંત વનલીલા સાથે ચાલી. વળી વિચાર થયો. "પણ એ જ એ હોય તો સારું. હશે. મ્હારે એનો બીજો કાંઈ તો સ્વાર્થ નથી, મ્હારી પ્રીતિનો કળસ તો લગ્નથી રેડાયો તે રેડાયો. પણ અા અહીયાં ર્‌હેશે તો કોઈ વખત કોઈની સાથે પણ વાત કરશે તે એકલી બેઠી બેઠી સાંભળીશ. જો એ જ હશે તો એની વિદ્યા ઢાંકી નહી ર્‌હે, કોઈક વખતે પણ તેના ઝરણ ઝરશે અને આ અવિદ્યાના દેશમાં – આ અરણ્યમાં – એમાં સંસ્કારી વચનામૃત આઘેથી પણ મ્હારે કાને આવશે.”

“ના. ના, પણ એટલો યે સંબંધ ખોટો.”

“પણ એવા અશરીર સંબંધમાં શો દોષ છે ?”