પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૬

“શું ! હું તો આજ છુ ને કાલ નથી ! ઘડીના છઠ્ઠા ભાગમાં આયુષ્ય પુરું થશે ત્યાં સુધી ઋણાનુબંધ છે તે જોડાઇ છું – પછી કાંઇ જોડાઇ રહેવાનું હાથમાં છે?”

ખાટલાની પાંગથ પર બેસી ડોસીએ આ સઉ રોતે રોતે કહ્યું અને કહી ર્‌હેવા આવી તેમ તેમ આંસુ લ્‍હોતી લ્‍હોતી શાંત થઇ ગઇ અને ડોસાના સામુ જોઇ રહી. એણે ક્‌હેવા માંડ્યું કે તરત તો ડોસાને ક્રોધ ચ્‍હડી ગયો અને ક્રોધમાં રાતો રાતો થઇ ગયો. “રાંડ, આ તે ક્‌હેવાનો વખત છે ?” એ વચન તેના ઓઠસુધી આવી ચુકયું હતું, અને ડોસી બંધ રહે કે કહું એ વિચારે અટકાવી રાખ્યું હતું. ડોસીનાં વાક્ય વધારે ચાલ્યાં; અને ડોસાના અપવિત્ર જીવનનાં ફળ તેના કુટુંબને ચાખવાં પડે છે અને છોકરાએ પણ બાપના માર્ગપર જવા માંડયું છે એ સર્વ વિગતનો ચીતાર ડોસીએ જેમ જેમ ખડો કર્યો તેમ તેમ પોતાના દુરાગ્રહે કરેલી ભુલોથી શત્રુના મુખમાં સેનાસહિત આવી પડેલો સેનાધિપતિ પોતાની ભુલોના ભાનથી પોતાના ઉપર ખીજાય અને પોતાની બુદ્ધિ ઉપર તિરસ્કાર કરે તેમ માનચતુરને થયું. જેમાં પોતે વર્ષોનાં વર્ષો સુધી પરાક્રમ માનેલું તે રીતભાત અને તે કરણીથી પોતાના કુટુંબમાં ઝેરનાં ઝાડ રોપાઈ ગયાં દેખાતાં માનચતુર સુતો સુતો ઓઠ અને હાથના પ્‍હોંચા કરડવા લાગ્યો – અને ધર્મલક્ષ્મી ઉપરનો ક્રોધ પશ્રાત્તાપે ડાબી નાંખ્યો. રોગ અને પશ્ચાત્તાપે કંપાવી દીધેલું અભિમાન શિથિલ થતાં ધર્મનો ઉપદેશ તેમાં પગપેસારો કરવા પામ્યો; અને ઘણા દિવસના હવડ પડેલા ગોઝારા ઘરનાં બારણાં ઉઘડે તેમ માનચતુરનાં મગજનાં બારણાં ઉઘડ્યાં, અને એવા ઘરમાં કોઇ એક હાથમાં દીવો અને એક હાથમાં ઝાડુ લઇ પેસે ને જે દીઠું તે સાફ કરવા માંડે તેમ આ મગજમાં ધર્મોપદેશ પેઠે અને ફરી વળવા લાગ્યો. એના કપાળની અદલબદલ થતી કરચલિયોમાં, ઉઘાડવાસ થતી અાંખેામાં, વારા ફરતી બેસી જતા અને ઘડીમાં ફીક્કા અને ધડીમાં રાતા થઇ જતા ગાલમાં, ફરફડતા ઓઠમાં, અસ્વસ્થ અને પથારીમાં આમ તેમ અથડાતા ઉછળતા હાથપગમાં, અને આરામ વગર તરફડતા આખા શરીરમાં, માનચતુરના મનના આ સર્વ ફેરફાર બ્‍હાર દેખાઇ આવવા લાગ્યા. એક છેડે બાળવા માંડેલો વાળ બીછપાસના સાજા છેડાસુધી હાલી જાય, અમળાઈ જાય, અને ચરચર થતો જાય તેમ અત્યારે ધર્માગ્નિથી ડોસો થવા લાગ્યો. તેમાં પોતાની આખી જુવાનીમાં ધર્મલક્ષ્મીએ કેવી સહનશીલતા અને કેવી ક્ષમા રાખી હતી, અને પોતે