પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૩

તે છતાં મનની સ્વાભાવિક નિર્બળતાએ ગોથું ખવરાવ્યું, મરી ગયેલા સંસ્કાર પ્રસંગ આવ્યે પાછા જાગ્યા, અને મરી ગયેલા વડીલ ભાઇની અનાથ સ્ત્રીને ઓળખવા સરખું ભાન ન રહ્યું. ગુણસુંદરીને ખભે અધીરાઇએ હાથ મુકાવ્યો એ ભુલથી તો હદ વળી ગઇ. ઘરનાં સર્વ માણસો ન જાણવાની વાત જાણી ગયાં અને પિતાના ધૈર્યે મર્યાદા મુકી એટલે સુધી વાત આવી ગઇ, અધુરામાં પુરું સ્ત્રીએ છાજિયાં લેઇ પુષ્પવૃષ્ટિ કરી એતો મરણપ્રસંગે મ્હેણાં ખમવાનું થયું. ગાનચતુર એકલો પડ્યો તેની સાથે તેના મનમાં એમ જ થયું કે આના કરતાં મરવું સારું. કમાવાની શક્તિ નહી, અને સ્ત્રી સુદ્ધાંત ઘરનાં સર્વ માણસ પરાયાં થઇ ગયાં. હવે કોઇ મ્હારું નથી,- હવે કોઇને શું મ્હોં દેખાડું? – હવે કોઇને મ્હારું શું કામ છે? – આવા અનેક વિચારના પશ્ચાત્તાપે ગાનચતુરનું મગજ ભમાવી દીધું. એકાંત મેડીમાં બપોરના બે વાગ્યાથી, તે મોડી રાત સુધી એકલો ખાટલામાં ને ખાટલામાં બેસી રહ્યો, અધુરામાં પુરું દીવો કરવાનું પણ આજ સઉ ભુલી ગયાં, ખાવાનું ન હતું તેથી ખબર લેવા પણ કોઇ આવ્યું નહી તે જાણી જોઇને ન આવ્યું હોય એમ લાગ્યું, અને દીવા વગરની અંધારી રાતે શૂન્ય એકાંત મેડીમાં કલાકના કલાક થયાં એકલા બેઠેલા ગાનચતુરને મનમાં એમ જ થયું કે આ અંધારામાં જનોઇ વડે ફાંસો ખાઈ મરું. ફાંસો ખાવા બે ચાર વાર જનોઇ ગળે વીંટી ખેંચવા માંડયું, પણ પુરું ખેંચતાં જીવ ન ચાલ્યો જીવ ચાલશે એવું અમસ્તુ મનમાં લાગ્યું ત્યાં બ્હારની મેડીમાં સામી ભીંત ઉપર દીવાના અજવાળાની ચોખંડી ચાદરના છેડા જેવું કાંઇ પથરાયું, અજવાળું વધવા લાગ્યું અને બે માણસના પગનો ઘસારો પણ સંભળાયો.

એ આવનાર કોણ હતાં અને શા વાસ્તે આવ્યાં હતાં?

ગાનચતુરને ધમકાવી માનચતુર પાછો ફર્યો અને નિદ્રાવશ થયો અને ત્યારપછી રાત્રે ઘરના સર્વ સ્ત્રીમંડળમાં આનંદ વ્યાપી ગયો અને આ કુટુંબમાં માત્ર ગાનચતુર શીવાય સર્વ મંડળ ગઇ ગુજરી ભુલી ગયું લાગ્યું તે આપણે જોયું છે. તે દિવસ રાતને પ્હેલે પ્હોરે માનચતુર પાસે ધર્મલક્ષ્મી આવી બેઠી અને ડોસોડોસી વાતો કરવા લાગ્યાં, અને ચોકમાં બેઠાં બેઠાં ગુણસુંદરી, ચંડિકા વગેરે સર્વ પોતાની વાતો કરતાં કરતાં વચ્ચે વચ્ચે આ વાત પણ સાંભળતાં હતાં.

ડોસીએ ચિંતાતુર મ્હોંયે ડોસાને ગાનચતુર બાબત શું ધાર્યું અને આજ આ શી નવાજુની થઇ તે પુછયું, બધા સમાચાર કહી