પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪

ડેાસો આખરે જરા મ્હોટે સ્વરે અકળાઇને બોલ્યો “ હવે એ મ્હારાથી સુધરે એમ નથી ને સુધરે ત્હોયે મહારે એને સુધારવો નથી. હું તો હવે કંટાળી ગયો. એનાં પ્રાણ અને પ્રકૃતિ સાથે જવાનાં છે. હવે તો એને એની બાયડી સુધારે ત્યારે. બાયડી બગડે તે ભાયડાને વાંકે, ને ભાયડો બગડે તે બાયડીને વાંકે. બીજો કશો વાંક ન હોય તો પણ એક બીજાને સુધારે નહી એ પણ એક વાંક. હું કાંઇ જન્મારો પ્હોચવાનો નથી અને એને આત્મજ્ઞાન થવાનું નથી કે જાતે સુધરે. આપણે શું ? એ નહીં સુધરે તો એની બાયડીને ભારે પડશે; માટે એને સુધારતાં આવડે તો એની બાયડી સુધારે, ન આવડે તો ભેાગ એ બેના. ભાઇભાભી સારાં છે તે નભાવે છે ને નભાવશે પણ એ કાંઇ જન્મારો પ્હોચશે ? ત્હેં મને સુધાર્યો તો એને એની બાયડી સુધારે; નીકર પડે બે જણ ખાડામાં !” આટલું બોલી ડોસો શાંત થઇ ગયો અને એને વધારે ઉશ્કેરાવા ન દેવો ઠીક જાણીડોશી બ્હાર આવી.

ચંડિકા બ્હાર વાતો કરતી હતી તેણે આ સઉ સાંભળ્યું, અને એનું હૈયું ભરાઇ આવ્યું. એની બુદ્ધિમાં જરીક જડતા હતી તે છતાં પતિને પરસ્ત્રીપર નજર કરતો જોઇ એને સ્વાભાવિક ઈર્ષ્યા આવતી. આવી ઈર્ષ્યા આણવાના પ્રસંગ ધર્મલક્ષ્મીની પેઠે એને પણ ન્હાનપણમાંથી આવ્યા હતા, પરંતુ સાસુની ક્ષમાનો લેશ પણ એનામાં ન હતો અને ઈર્ષ્યાભરેલો જન્મારો ગાળવાથી એનો સ્વભાવ ચ્હીડિયો થઇ ગયો હતો અને ધીમે ધીમે સઉ ઉપર ઈર્ષ્યા આણવાનો અને ક્રોધે ભરાવાનો એને સ્વભાવ પડી ગયો હતો. જ્યારે એના હૃદયપર ઈર્ષ્યાનો હુમલો થતો તે વખત એ સમજતી કે મ્હારામાં આટલી અદેખાઇ આવી છે પણ એ હુમલાના સામા થઇ તેને અટકાવવાની એનામાં શક્તિ ન્હોતી, જેમ સુંદરગૌરી પર ગુણસુંદરીની મા કૃપા જોઇ અદેખાઇ આવતી, તેમ પોતે ઘરબારવગરની અને ગુણસુંદરી ઘરબારવાળી અને એનો પતિ આવો સારો અને એને પતિતરફનું આટલું સુખ અને પોતાને તેમાંનું કાંઇ નથી એ જોઇ ચંડિકા અંતર્માંથી દાઝતી, એકાંતમાં છાતી કુટી નાંખતી, ગાનચતુરને ગાળો દેતી, છોકરાંને મારતી, ગુણસુંદરીને કામમાં ન લાગતી, એના કામમાં કંઇ પણ હરકત પડી જોઇ રાજી થતી, કોઇના ઠપકા ન ગણકારતી, સસરો ગુણસુંદરીનાં વખાણ કરે ત્યારે મ્હોં મરડતી; ગુણસુંદરી સાસુનું કામ કરે ત્યારે એને માનીતી થનારી ગણી એના ચાળા પાડતી,