પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રક૨ણ ૨.
બ્હારવટિયું મંડળ.

થોડે થોડે વડનીચે પચાશ પોણોસો માણસ એકઠું થઈ ગયું. પણ કોઈ કોઈની સાથે બોલતું ન હતું. માત્ર પગના ઘસારા અને હથિયારોના ખડખડાટ સંભળાતા હતા. એવામાં એક જણ એક મસાલ સળગાવી ચારેપાસ ફરી વળ્યો અને સઉનાં મ્હોં તપાસી સુરસંગપાસે આવ્યો અને તે નીચે બેઠો એટલે સઉ મંડળ બેસી ગયું. ચારપાંચ માણસો મસાલો સળગાવી સઉ મંડળની આસપાસ લક્ષ રાખતા ઉભા રહ્યા, અને ચાર માણસો વડની ચારે દિશા જોતા હાથમાં બંધુકો રાખી ઉભા. સર્વ માણસ મજબુત બાંધાના હતા. કોઈ ઠીંગણા ગાંઠા જેવા, કોઈ લાંબાપ્હોળા, કેાઈ એકલા ઉંચા પણ તરી આવતી નસોવાળા, પણ સર્વ શુરવીર દેખાવના હતા અને જુનાં તથા નવાં જુદી જુદી જાતનાં હથિયાર તેમના હાથમાં હતાં. સુરસંગની આસપાસ ચાર વૃદ્ધ અને બે જુવાન ગરાસિયા અને એક બ્રાહ્મણ એટલામાં કુંડાળું વળી બેઠા.

“બાપા,” બે જુવાનમાંનો ન્હાનો માથું ઉંચુ કરી બોલ્યો, “હવે બુદ્ધિધન જખ મારે છે ! એના દીકરાની વહુ ભદ્રેશ્વર જવા નીકળી છે અને અંબા સહાય થઈ તો આજ વડપાસે આપણા હાથમાં સવારે આવશે, પછી એ ધીરપુર પચાવી પડ્યો છે તે જીવતી માખ ગળ્યા જેવું થશે.”

બ્રાહ્મણ જરા પાસે આવ્યો અને બોલ્યો. “ઠાકોર, પરતાપસંગ બાપુ બરાબર ક્‌હે છે, પણ મ્હારા બ્રાહ્મણ ભાઈનુંયે જરા સાંભળ્યું જોઈએ. એ બાઈને પકડ્યાથી બીજો શત્રુ થશે. રત્નનગરીવાળાને વેરી કરવાથી હાંસલ નહી થાય. પછી તો તમે જાણો. અમે તો પશ્ચિમબુદ્ધિવાળા બ્રહ્મબંધુ.”

પ્રતાપસિંહનો ન્હાનો પણ બુદ્ધિવાળો ભાઈ વાઘજી બેલ્યો: “બાપા, શંકરમહારાજ ઠીક ક્‌હેછે. વળી સ્ત્રી અને બાળક બેને હેરાન ન કરવાં એ આપણો નિયમ છે તેથી તે આપણને બધી વસ્તીની મદદ છે તે પણ ભાઇના કહ્યા પ્રમાણે કર્યાથી બંધ થશે.”

પ્રતાપસિંહ ક્રોધમાં આવી બોલી ઉઠયો: “વાઘજી, હજી તમે ખરો વિચાર કરી શકતા નથી. રાણા ખાચરને ભૂપસિંહ કરતાં રાણા મણિરાજપર વધારે વેર છે. આ જ કારણથી સામત મુળુને