પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૯


“એ વાતની ચિંતા ન કરવી. સઉ થઇ રહ્યાં પછી જ જાણશે.”

“પણ તમારા અલંકાર ઉતારવા એ મ્હારો ધર્મ નહી, હું બીજો ગમે તે રસ્તો ક્‌હાડીશ.”

“શું તમે મને તમારાથી જુદી ગણી?” દયામણું મ્હોં કરી ગુણુસુંદરિયે પુછ્યું.

વિદ્યાચતુર ઉભો થઇ બેાલ્યોઃ “ના, ના, જુદી તો શું ? પણ જોઇશું.” તે કપડાં પ્હેરવા લાગ્યો.

ગુણસુંદરિયે બેઠાં બેઠાં તેનો હાથ ઝાલી ઉભો રાખ્યો અને બોલી “ત્યારે જુદી નહી તો આ બીજું શું?”

હાથ છુટો કરી અંગરખું પ્હેરતો પ્હેરતો વિદ્યાચતુર બોલ્યો : “ના, ના, એવા શા કુતર્ક કરે છે ? હવણાં તો જરા દરબારમાં જઇ આવું છું. સઉ થઇ ર્‌હેશે – વખત આવ્યે.”

ગુણસુંદરી ઉભી થઇ, પાઘડી લેઇ આવી, અને તે પતિને માથે મુકતી મુકતી બોલી: “વખત બખત કંઇ આવવાનો નથી, સઉ વાત કાલ કરવાની છે. તમારે ચાલવાનું નથી.”

“જોઇશું, જોઇશું” – વિદ્યાચતુર દાદર ઉપર ઉતરવા લાગ્યો. ગુણસુંદરી તેના અંગરખાની ચાળ ઝાલી રહી અને ઉતરતો અટકાવ્યો.

“ના, તે “જોઇશું, જોઇશું” નહીં. મ્હારા સમ ખાવ.”

“મુક, મુક, નીચે વડીલ ઉભા છે તે જોશે.”

ગુણસુંદરિયે અંગરખું મુક્યું અને મુકતાં મુકતાં બોલી: “ ઠીક, હવણાં તો જાવ છો – પણ આખર મ્હારું જ ધાર્યું કરીશ. હજી એક રાતને આંતરો છે. ”

વિદ્યાચતુર દાદરપર ઉતરવા લાગ્યો. જતાં જતાં મનમાં બોલ્યો : “ઈશ્વરની કૃપા વિના સત્સ્ત્રી કયાંથી મળે ! સત્સ્ત્રી હોય પણ આવી કુટુંબવત્સલ અને સત્કર્મમાં આમ ધાર્યું કરનારી તે તો દુર્લભ જ ! ગુણિયલ ! ત્હારા મનોરથ ઉંચા અને પરોપકારી છે, એ મનોરથ પાર પાડવામાં ત્હારો આગ્રહ અને ત્હારું બળ અમને સઉને હરાવે છે!” — “તું ધાર્યું કરનારી – તું સઉને ત્હારા ગુણથી અને બુદ્ધિથી અને કર્મથી સઉને જીતનારી ! – તે મને મળી – માટે જ મ્હારા ઉપર ઈશ્વરની કૃપા છે. દ્રવ્ય કરતાં, રાજપદવી કરતાં, ત્હારારૂપી રત્નના ધણીને અભિમાન કેમ ન ચ્હડવું જોઇએ ?

“Sweet stream that winds through yonder glade,