પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૭


જે વખતે સરસ્વતીચંદ્ર અર્થદાસની સાથે ઘાસમાં પડ્યો હતો તે વખતથી તે છેક સંધ્યાકાળ સુધી ગુણસુંદરી, ઓસરીના ઓટલાપર એક આડી વળી સીડી દીધેલી હતી તેને અઠીંગી, રસ્તાપર નજર કરતી, ઉભી હતી. હજી દિવસ બરાબર આથમ્યો ન હતો અને ગામ બ્‍હાર આઘે ઉંચાં ઝાડના શિખરઉપર સૂર્યનાં કિરણ પાછાં પગલાં ભરતાં જણાતાં હતાં. નીચે આવતી જતી વસ્તીના છુટા છુટા પ્રશ્નને તે ભાંગ્યા તુટયા ઉત્તર આપતી હતી પણ તેનું ચિત્ત ભાગોળ ભણીનો માર્ગ અને પોતાના કુટુંબનો ભૂતકાળ બેની વચ્ચે ફેરા ખાતું હતું. છેક સાયંકાળ પડ્યો અને ચારે પાસ અંધારાની પછેડી પથરાવા લાગી ત્યારે ગામને પાધરેથી બે સ્વાર દોડતા દોડતા આવતા જણાયા ને ગુણસુંદરીની આંખ ચમકી હોય તેમ તેમની જોડે દોડવા લાગી અને પોતાની પાસે પાસે આવવા લાગી. બધે ઠેકાણે માર્ગ મેળવી, સઉનું કૌતુક ખેંચતા ખેંચતા, એ સ્વાર આવી પ્હોચ્યા; અને પ્રથમ તેમના પોશાક ઉપરથી અને આખરે નજરે નજર મળતાં તેઓ એાળખાયા. એ સ્વાર સુવર્ણપુર મોકલેલા અબદુલ્લા અને ફતેહસિંગજી હતા; છેક ઓસરી અાગળ આવી ઘોડાપરથી જ ફતેહસિંગજીએ 'ગુણસુંદરીના હાથમાં ચીઠ્ઠી મુકી તે તેણે એકદમ ફોડી અને વાંચી.

“ તીર્થરૂપ અખંડ સૌભાગ્યવતી માતુશ્રી,

“હું આજ સંધ્યાકાળે નીકળી કાલ સવારે આપના ચરણારવિંદને ભેટીશ. સઉ સમાચાર સ્વારો ક્‌હેશે તેથી જાણજો. અત્રે મ્‍હારા તીર્થરૂપ શ્વસુરજી કારભારી થયા છે અને જુના કારભારી બદલાયા છે. મ્‍હારાં સાસુજીએ તથા નણંદે આ૫ને બહુ બહુ બોલાવ્યાં છે. હું અત્રે છું તો સુખી, પણ મ્‍હારું હૈયું આજ ભરાઇ આવે છે તે કાલ તમને મળીશ ત્યારે ખાલી કરીશ. વડીલને અને કાકીને મ્‍હારા દંડવત્ પ્રણામ ક્‌હેજો અને બ્હેનને આશીર્વાદ, પિતાજી તો રત્નનગરીમાં હશે."

“લા૦ ચરણરજ કુમદના દં. પ્ર.”

“ચૈત્ર સુદ બીજ. ”

કાગળ વાંચે છે એટલામાં માનચતુર, સુંદરગૌરી, કુસુમસુંદરી, ચંદ્રકાંત વગેરે મંડળ ભરાઇ ગયું; કાગળ લેઈ ફરી ફરી કુસુમસુંદરીએ મ્‍હોટેથી વાંચ્યો, અને એક પછી એક એમ સઉએ વાંચી જોયો. ચંદ્રકાંતે પણ હાથમાં લીધો, અને આ અક્ષર સરસ્વતીચંદ્રના હાથમાં જોવાનો અભ્યાસ સરત આવતાં ઉકળતા અંત:કરણમાં નિઃશ્વાસ નાંખી, પાછો આપ્યો. તેટલામાં ગુણસુંદરી એક પાસથી “હૈયું ભરાઇ આવે