પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪

હરભમ: “ત્યારે તો ઉત્તમ.”

“ના, ના, વડીલ, તમારે એ જોખમમાં પડવાનું નહી. વૃદ્ધ શરીર અને આપણો ધંધો નહી !” ગુણસુંદરી બોલી ઉઠી.

ડોસો હસ્યોઃ “વારુ, ગુણસુંદરી, ડોસાને પણ જુવો તો ખરાં ! તમારો તો જન્મ પણ ન હતો અને આ બધા દેશમાં સાહેબલોક નવા આવતા હતા તે વખત તમારો વડીલ તરવાર બાંધી રજપુતો ભેગો દોડતો હતો. શું કુમુદને માથે હરકત આવે ને હું જોઇ રહું? જો એમ થાય તે મ્હારો અવતાર નિષ્ફળ જ. જો હરભમ, હું અને અબ્દુલો અમારી તુકડી લઇ અત્યારે નીકળીશું તે સુભદ્રા ઓળંગી આગળ ચાલ્યા જઇશું તે જ્યારે કુમુદ મળશે ત્યારે અટકીશું અને એને લઇ આવીશું. એની સાથે પણ માણસો હશે તેને સાવધાન કરી આગળ પાછળ ચાલીશું. જાવ, મુખી અને હરભમ, તમે કહ્યા પ્રમાણે તૈયારી કરી પલકારામાં પાછા આવો; અને ગુણસુદરી, તમે જરા મ્હારાં જુનાં કપડાંમાંથી પાયજામો ક્‌હડાવો અને બીજાં કપડાં કહું તે ક્‌હડાવો. ફતેહસંગ, તું મ્હારે સારુ તમારા બધાંમાંથી કોઇની તરવાર સારી જોઇને લાવ, બંધુક પણ લાવજે, અને...."

ડોસો વધારે બોલવા માંડે છે એટલામાં તે સર્વ શૂરમંડળ તેના હુકમને અમલ કરવા વેરાઇ ગયું.

સ્ત્રીમંડળ ડોસાનાં કપડાં લેવા ગયું. જુના કાળમાં જ્યારે ઇંગ્રેજી રાજ્યનો અમલ બેઠો ન હતો અને બધે દેશ લુટારા લોકના ત્રાસથી બારે માસ હથિયારથી સજ્જ ર્‌હેતો હતો, જ્યારે બ્રાહ્મણોને અને સ્ત્રિયોને પણ પોતાનું રક્ષણ કરવા જેટલી તત્પરતા રાખવી પડતી હતી, તેવા ભયંકર સમયમાં જેની જુવાનીનો મુખ્ય ભાગ ગયો હતો તે માનચતુર હથિયારના ઉપયોગમાં પાવરદા હતો, અને તેના હાથને એવી રીતે કસાવાના પ્રસંગ પણ ઘણા મળ્યા હતા. નાનાસાહેબના બંડ પછી દેશ અશસ્ત્ર થયો છતાં, સશસ્ત્ર અવસ્થાનું શુરાતન, બળ, અને આવડ માનચતુરમાંથી અદૃશ્ય થયાં ન હતાં અને ઘણે વર્ષે પ્રસંગ આવ્યે સુતેલો સિંહ જાગ્યા પછી પણ સિંહ જ હોય છે તેમ માનચતુર આજ શૂર જનની ઉરકેરાયેલી અવસ્થા અનુભવવા લાગ્યો.

“ચંદ્રકાંત, તમે તે ઘેર જ ર્‌હેજો – બધી સ્ત્રિયોનું રક્ષણ થશે તે ભેગું તમારું પણ થશે. ખમા ઇંગ્રેજ બહાદુરને કે હથિયાર લેઇ