પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૬

મુકિયે એટલે જે કોરી જમીન આવે તે મોક્ષ ! – મ્હારે એ મોક્ષ શોધવો !"

આ વિચાર આમ બળવાન થાય છે તેની સાથે કાનમાં સરસ્વતીચંદ્ર બોલતો હોય એમ ભણકારો વાગ્યો: “વ્હાલી કુમુદ, તું ત્હારા આત્માને વ્યર્થ ફોસલાવે છે! સન્મૃત્યુ તે મોક્ષ છે, અપમૃત્યુ તે મોક્ષ નથી ! દુ:ખમાંથી છુટવા મૃત્યુ શોધવું ને આપઘાત કરવો તે અપમૃત્યુ ! જે વાટ ફુંક મારી હોલવિયે છિયે તેમાંથી ધુમાડો નીકળે છે, દુર્ગન્ધ પ્રસરે છે, ને કાળો કોયલો ર્‌હેછે. જે વાટ પુરેપુરી બળી જાય છે તે શાંત થાય છે અને તેનો ચૂર્ણ થયેલો અવશેષ પંચભૂતમાં જાતે જ ભળી જાયછે. ફુંકથી હોલવાયલી વાટ અપમૃત્યુ પામે છે. સમાપ્ત થયેલી વાટ ઈશ્વરેચ્છાને અનુસરી સ્વયોનિમાં ભળે છે – એનું જ નામ મોક્ષ ! વ્હાલી કુમુદ ! દુ:ખથી કાયર થઇ અપમૃત્યુ પામવું તે જે ધર્મ - કર્મ - અર્થે ઈશ્વરે જન્મ આપ્યો છે તેની આજ્ઞા તોડી બંડ કરવા જેવું છે.”

શરીરભયના વિચારમાંથી આવા વિચારોમાં સંક્રાંત થયેલું મન આ ક્ષણે અચિંતી બુમો સાંભળી ચમક્યું. સુરસિંહ પકડાતાં પાછું ફરતું મંડળ આઘેથી બુમો પાડતું હતું. આ બુમો બ્હારવટિયાની હશે અને તેઓ પાસે આવતા હશે એમ કલ્પી, શરીરભય સમીપ દેખી મનના વિચાર એકદમ અસ્ત થઇ જતાં ભયમાંથી બચવાનો માર્ગ શોધી રાખવા ઇચ્છતી, રથબ્હાર ડોકું ક્‌હાડી, મનને કાંઇ સુઝયું હોય એમ અચિંતી રથમાં અર્ધી ઉભી થઈ વસ્ત્રની અંદર ચણિયાનો કચ્છ વાળી, એક ન્હાનું ખંજર કેડ આગળ સંતાડેલું હતું તે ઉપર હાથ ફેરવી, સજજ થઇ, અને જેણી પાસથી બુમ આવતી હતી તેણી પાસ પડદામાંથી નજર નાંખતી કુમુદસુંદરી સાવધાન બેઠી. માનચતુર પોતાના પક્ષનો વિજય સમજી ગયો; રથની પાસે આવી પડદો ઉપાડી વ્હાલથી બોલ્યો: “બ્હેન, ભય ગયું, આપણાં માણસ જીતીને પાછાં ફરે છે."

માનચતુરનાં માણસ ઉમંગમાં આવી ગયાં, સામેથી આવતું મંડળ ઉડી પડતું હોય એમ વેગથી ઘોડા દોડાવનું “ફતેહ ! ફતેહ !” કરતું પાસે આવ્યું, અને સઉથી આગળ આવી શંકરના ઘોડાની લગામ ઝાલી અબદુલ્લો બોલી ઉઠ્યો:

“ભાઇ સાહેબ ! બુદ્ધિધનભાઇકા આદમી યહ શંકર મહારાજ હૈ, ઉને સબ બ્હારવટિયેકું બ્હાદુરીસે પકડ કર ગઠડીમેં બાંધ કર