આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
કુમુદ બોલી નહી. નદીનાં પાણીમાં, પટમાં, તેના વિચાર લીન
થઇ ગયા; “સરસ્વતીચંદ્ર, તમે સાહસ તો નથી કર્યું? આ પાણીમાં
ઝંપલાવ્યું તો નથી ?”
નદીમાં સરસ્વતીચંદ્રને શોધતી શોધતી પાણીના પ્રવાહપર એક સ્થળે સ્થિર દૃષ્ટિ કરી મનમાં ગણગણવા લાગી.
- “જહાંગીર મુજ ધરે ફકીરી, જળચરનો સહચારો થયો ! "
- “દુષ્ટ કુમુદને કાજ ઝુર્યો ને મ્હેલ છેડી - જળશાયી થયો !”
- “હો સુભદ્રા !
- "રત્ન પડ્યું તુજ ખોળે જો, તો યત્ન કરી તું સાચવજે!"
- “પુરુષરત્નને કંઠે રાખી સ્નેહ થકી તું જાળવજે'! ”
“અલી સુભદ્રા તું ચતુર છે ? – એને નીરમાં ડુબાડીશ નહી – એને તો કંઠે [૧]જ રાખજે – મ્હારે કંઠે વળગાડજે.”
“સુભદ્રા, તું આજે આટલી પ્રસન્ન કેમ છે ?
- “પુરુષરત્નને ઉરે ગ્રહી તું પ્રસન્ન થાય ના, તે મૂર્ખી;
- “પુરુષરત્નને ધરી સમાગમ ધન્ય ધરે આવી સુરખી !”
“અલી સુભદ્રા, મ્હારા ભાગ્યની અદેખાઇ કરવાનું ત્હારે કાંઇ કારણ નથી હોં ! મ્હારા સ્વામી છે તે મ્હારા ઉપર સ્નેહ નથી રાખતા; મ્હારા ઉપર સ્નેહ રાખે તે મ્હારો સ્નેહી તો ખરો જ, પણ તેના ઉપર સ્નેહ રાખવાને મને અધિકાર નથી. એટલે હું નહી સ્વામીની ને નહી સ્નેહીની ! !”
- [૨]“ સ્વામી શોધે બીજીને, તજી મને !
- “ સ્નેહી શોધે મને, તજીને મને !
- “શોધે સ્નેહી તે વ્યર્થ, એને નહી મળું;
- “દેહ દીધો સ્વામીને પાછો ક્યમ લઉ ?
- “ તજે સ્વામી ત્હોયે એ સ્વામી દેહનો;
- “ તજે નહીંજ સ્નેહ યે બંધ સ્નેહનો.
- “ તજું જો હું નકામા મ્હારા દેહને,.
- “ ભસ્મ એથી કરું હું જો આ સ્નેહને,