અર્થદાસ કાચો નથી," એ વિચાર મનમાં કરી વાણિયો હસી પડ્યો, અને ઉત્તર ઉડાવી સામે પ્રશ્ન પુછવા લાગ્યો: “ હેં ! હેં ! હા ! ચાંદાભાઈ, વારુ, ત્યારે તમે આ લોકમાં ક્યાંથી આવી પડ્યા, તમે શો ધંધો કરો છો ? તમારૂં ગામ કિયું ને ક્યાં જવાનું છે ? - હવે તો તમને જરુર કરાર વળશે – જરા વાર તો લાગશે સ્તો.”
“હું ક્યાંથી આવું છું તે તમે જાણો છો અને આ લોકમાં શાથી આવી પડ્યો તે તમે જાતે નજરે જોયું છે.”
“પણ તમે ધંધો શો કરો છો ?”–
“ ધંધો ?–ખાવું, પીવું, ને ફરવું.”
“એમ કે ?” – વધારે વ્હેમમાં પડેલો અર્થદાસ હૃદયમાં ધ્રુજતો વળી પુછવા લાગ્યો. “ને જાવ છો કયાં ?”
“ભાગ્ય લેઈ જાય ત્યાં – તમે લેઈ જાવ તો તમારે ત્યાં આવું – ભુખ મને ને તમને સરખી લાગી હશે.”
અર્થદાસ મનમાં બોલ્યોઃ “જો બ્હારવટિયો ખરો ! મ્હારે ઘેર આવવું છે, ત્યારે પેલીને બચાવવા શું કરવા લ્હડયો ને ઘવાયો ? કોણ જાણે. બ્હારવટિયાઓનો ભેદુ થઈ એમ કર્યું કેમ ન હોય ?” સ્વાર્થજળના માછલાએ પરમાર્થબુદ્ધિની કલ્પના ન કરાઈ.
સરસ્વતીચંદ્રે ફરી પુછયું: “ભાઈ, તમારે ઘેર મને લેઈ જશો ? હું તમને કામ લાગીશ. આ દેશનો હું ભોમિયો નથી ને તમે સઉ રસ્તાના ભોમિયા હશો.”
“મ્હારે ઘેર તે મરવાને લેઈ જાય ? – અર્થદાસ પણ ખરો કે તને પણ ચપટીમાં લે !” એટલું મનમાં બોલી મ્હોટેથી બોલ્યો; "હા – શા વાસ્તે નહી ? પણ એટલી સરતે જો કે મ્હારી ઘરવાળી પાછી આપવી !”
“ભાઈ, તે તો હું શી રીતે કરું ? પણ તમારે ઘેર ચાલો એટલે હું તપાસ કરવા લાગીશ.”
“જો લુચ્ચો !” અર્થદાસ આટલું મનમાં કહી વળી મ્હોટેથી બોલ્યો, “ વારુ ભાઈ ચાંદાભાઈ ! આપણે અહિયાં ક્યાં સુધી પડી રહીશું? ચાલો ગામભણી જઈએ !” – મનમાં બોલ્યોઃ– “પોલીસમાં પ્હોંચાડું – પછી એ તો ૨ત્નનગરીની પોલીસ છે ને વાણિયા સાથે કામ છે.”
બે જણ ઉઠ્યા અને મનહરપુરી ભણી ચાલવા લાગ્યા. ચાલતાં