પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦

બીજ વિકાસ પામતાં વધવા પામેલું ગુણસુંદરીનું સ્નેહી હૃદય પતિના હૃદયની સર્વ છાની વાતો જાણવા અને સમજવા પામ્યું, પોતે તેના પૂર્ણ વિશ્વાસનું પાત્ર છે તે અનુભવવા લાગ્યું, પોતાના અભિલાષ પુરવામાં સ્વતંત્ર અને પતિના સ્નેહનું ઉત્સાહી બન્યું, પતિભક્ત થયું, અને શારીર વાસનાઓથી ભિન્ન ર્‌હેતા ઉચ્ચ અને માનસિક પ્રેમના આનંદના ચમકારાથી ચમકવા લાગ્યું. અશિક્ષિત પણ બુદ્ધિશાળી સ્ત્રિયોની બુદ્ધિ જેવી રીતે ઘરકામમાં અને સંસારવ્યવહારમાં આગળ પડી આવે છે તેમ જ આખી મનહરપુરીને પોતાના ઘર જેવું માનતી ગુણસુંદરી ન્હાના સરખા ગામડામાં વારે ઘડિયે આવી જતી અને ત્યાંની ગરીબ અને અજ્ઞાની વસ્તીને પોતાના ગજા પ્રમાણે સુખી કરવા પ્રયત્ન કરતી તે જણાઈ આવતું. મ્હોટી વયનાં માણસનું અનુકરણ કરવા જતાં ન્હાનાં બાળકો પોતાનાં રમકડાંને જીવતાં કલ્પી તેમાં ખરા સંસારના જેવો સંસાર ચલાવવાનું ભાન પામી પ્રફુલ્લ હૃદય ર્‌હે છે તેમ જ રાજ્યવ્યવહારમાં બાળક જેવી પત્નીને મનહરપુરીમાં જુદા જુદા પ્રયોગ કરી આનંદમાં ર્‌હેતી જોઈ, એ પ્રયોગનાં સૂક્ષ્મ અવલોકન કર્યાથી વિનોદ પામી, કદી કદી સ્મિત કરી, ને કદીક સૂચના પામી વિઘાચતુર ગુણસુંદરીના સામું જોઈ ર્‌હેતો, તેનો હાથ પોતાના હાથમાં હોય તો જોરથી દાબી દેતો અથવા તો પોતાના અધરપુટ ઉપર મુકતા, કોઇ પ્રસંગે તેનો વાંસો થાબડતો, અને એકાંત હોય ને અત્યંત ઉમળકો આવે ત્યારે હૃદયદાન કરતો. મનહરપુરીમાં આવ્યાથી આજ ગુણસુંદરીમાં આ સર્વ સંસ્કારનું સ્મરણ આવ્યું અને પવનથી મોરનો કલાપ ફરફર થઈ ચમકે તેમ આ સ્મરણથી તેનું હૃદય થવા લાગ્યું.

ગુણસુંદરીનું વય આજે પાંત્રીશેક વર્ષનું હતું, પરંતુ તેને સંતતિમાં માત્ર બે જ પુત્રિયો હોવાથી અને તે પણ ઘણાંક વર્ષઉપર જન્મેલી હોવાથી તેનું શરીર સુંદર હોવા છતાં નબળું પડયું ન હતું અને માત્ર છવ્વશ સત્તાવીશ વર્ષની તે દેખાતી હતી. ત્હોયે ચતુર જોનાર તેની મુખમુદ્રાઉ૫રથી ખરું વય કહી આપતાં. એ શરીરે મધ્યમ કાઠાની એટલે જાડીએ નહી અને દુબળીએ નહી એવી હતી. એનો વર્ણ છેક સોનેરી નહી તેમજ છેક રુપેરી પણ ક્‌હેવાય નહીં એવો હતો. મ્હોં ભરેલું હતું, વાળ કાળા, સુંવાળા, ચળકતા, ઝીણા અને અંબોડો છુટો હોય ત્યારે છેક ઢીંચણ સુધી આવે એટલા લાંબા હતા. કપાળ મ્હોટું હતું. આંખો ચળકતી ચંચળ અને ચકોર હતી પણ બહુ મ્હોટી ન હતી. તેનો સ્વર છેક કુમુદસુંદરીના જેવો ન હતો