પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૫૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૪

એ ગરમ પાણી મુકે કરે એટલામાં હું મ્હારી મેળે દાતણ બાતણ, કરી, મ્હારી જાતનું કામ કરી, ન્હાઇ ધોઈ, ચોટલો ચાંલ્લો કરી, પરવારું છું. ત્યારપછી સાસુજીની પૂજાની સામગ્રી તૈયાર કરી એ ઉઠ્યાં હોય એટલે એમને સ્વાધીન કરું છું એ કામ બીજા કોઇને સોંપું પણ એમનો સ્વભાવ ચટવાળો ને આકળો ને તેથી જેને સોંપું તેને ને એમને બેને દુઃખ થાય એવું છે માટે હુંજ કરું છું. એટલામાં ઘરમાં સઉ ઉઠ્યાં હોય તો પોતપોતાનું કામ કરવામાં રોકાય તેટલી વારમાં રસોઇનો સામન હું તૈયાર કરું છું. દુ:ખબા બ્હેન ઘણું ખરું દીલગીર રહ્યાં કરે છે એટલે કામ કરતાં કરતાં વિચારમાં પડી જાય છે ને એમનાથી હેરાફેરા થતા નથી એટલે રસોઇમાં ન્હાવાનું એમને ઠીક પડે છે ને કુમારીને સાથે શીખવાને ન્હવડાવું છું. આપણે શીખવિયે ત્યારે ઠીક ન પડે ને બ્હેન શીખવે ધમકાવે તેથી હરકત નહી. ઘરમાં હાલ છોકરાં બહુ થયાં છે તેમને ન્હવરાવવાં, શણગારવાં વગેરે કામ સુંદરભાભીને ગમે છે ને એમની મેળે કર્યા કરે છે. ચંચળબ્હેન સવારનો વખત વડીલને સારુ ચ્હા, ઓસડ, વગેરે તૈયાર કરવામાં ગાળે છે અને હું ઘરમાં સઉને સારૂ હેરાફેરા કરું છું ને સામાન સુમનની ગોઠવણ કરાવી ચાકર ઉપર દેખરેખ રાખું છું. એનાપર દયા રાખું છું ખરી પણ દેખાડતી નથી કારણ દયા દેખાડિયે તે બગડી જાય. આમને આમ આખો દિવસ ચાલ્યો જાય છે ને ઘરમાં ? આનંદ વર્તે છે.”

“એમાં તમારી શી ચતુરાઈ ?” વિદ્યાચતુરે હસીને કહ્યું. ગુણસુંદરી ચિન્તાતુર મુખ કરી બોલી: “એતો ઈશ્વર જાણે પણ હવે મ્હારે સાતમો મહીનો જાય છે એટલે મ્હારાથી જોઇયે તેટલું નીપજતું નથી ને સુવાવડમાં હું નકામી થઇશ તે પ્રસંગની બહુ ચિન્તા રહે છે. જોઇયે હવે શું થાય છે.”

આટલું બોલે છે એટલામાં નીચે કોઇએ એને બોલાવી તેથી એ ગઇ. પણ એને ચિન્તા પડી હતી તે ખોટી ન હતી. જુદાં જુદાં સ્વભાવનાં ઘરનાં માણસોને જરા પણ તકરાર ન પડે એ રીતે પોતે ચતુરાઇથી સઉને અનુકૂળ બની જઈ રાખતી હતી અને જાતે છડી હોવાથી ખરેખરું કામ તે પોતેજ કરતી હતી. પણ સુવાવડ આવશે એટલે માળાવગરના મણિકા જુદા પડશે, કામકાજમાં વાદ પડશે, ઘરમાં બગાડ થશે, અને કુટુંબમાં “વિખવાદ” (વિષવાદ) થશે એવી