પૃષ્ઠ:Saraswati Chandra Part 2.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૯


સઉ બેઠાં છે એટલામાં દુ:ખબા ધીમે ધીમે આવી અને ગુણસુંદરીને પુત્રીનો પ્રસવ થયાના સમાચાર કહ્યા બહુ વધામણીની વાત ન ગણાઈ તે છતાં આર્યલોકનો સ્વાભાવિક સંતોષ સઉમાં જણાયો, “ચાલો, લક્ષ્મી પધાર્યા ” કહી સઉએ સંતોષ વાળ્યો અને પૃથ્વીપર નવા આવેલા બાળકને સત્કાર આપ્યો. માનચતુરે બાળકની માના સમાચાર પુછ્યા અને તેનું આરોગ્ય જાણી સર્વ આનંદ પામ્યાં. ડાક્‌તર કેટલીક સૂચના આપી ઘેર ગયો અને તે બારણા બહાર નીકળતા સુધી વિદ્યાચતુર તેની સાથે સંતોષભર છાનોમાનો વાતો કરતો કરતો ગયો, અને ડાક્‌તરને વીદાય કરી પાછો પોતાની મેડી પર ગયો.

ગુણસુંદરી સુવાવડમાં સ્વાભાવિક રીતે ખાટલાવશ રહી. સઉયે પોતપોતાનું કામ તે વખતમાં ઉપાડી લીધું અને બેચાર દિવસ તે કામ સારી રીતે ચાલ્યું પણ ધીમે ધીમે ગૃહયંત્રનાં સર્વ ચક્ર શિથિલ પડ્યાં અને એ યંત્રની સંભાળ રાખનારીની ખોટ અને કીમ્મત જણાવા લાગી. પ્રથમ તો ઘરનાં સર્વ માણસને પોતપોતાની બાબતમાં જરી જરી અગવડ લાગવા માંડી. માનચતુરની સરભરા ઓછી થઈ, કારણ સરભરા કરનારને બીજાં કામમાં ગુંથાવું પડયું, એટલુંજ નહી પણ એ સરભરાપર દેખરેખ રાખનારી સુવાવડમાં પડી અને તેની ચતુરાઈ, ધીરજ, મ્હોંની મીઠાશ અને અંતર્નું વ્હાલ, વગેરે દેખાડનાર કોઈ રહ્યું નહી અને ડોસો અકળાવા લાગ્યો. ઘરનાં કામમાં વાદ થવા લાગ્યો અને સુવાવડીની પણ સંભાળ એવી જ ર્‌હેતી. ધર્મલક્ષ્મીથી હરોફેરો થતો નહી અને જરી જરી હેરોફેરો ગુણસુંદરી સારુ કરતી, પરંતુ પોતાની દેવસેવામાં હરકત પડવાથી એ હેરોફેરો કોઈ વખત થતો નહી; અને સઉનું કામ તે કોઈનું નહીં એમ થતાં સુવાવડીને ખાવાપીવાનું પણ મોડું વ્હેલું થતું એટલું જ નહી, પણ તેના બાળકની પણ સંભાળ લેવાતી નહી. એક પ્રસંગ એવો બન્યો કે માનચતુરનું ઔષધ બપોર થતા સુધી કોઈએ તૈયાર કર્યું નહી, જમવાની વખત તો થાય શાની, અને ડોસો આકળો થઈને લાકડી લેઇ છાનોમાનો ઘરમાં સર્વે શું કરે છે તે જોવા ફરવા લાગ્યો. પ્રથમ તે વિદ્યાચતુરની મેડીએ ચ્હડયો. વિદ્યાચતુર પોતે બ્હારથી આવેલો પણ ભુખ લાગવાથી પલંગમાં સુઈ રહ્યો હતો અને ઉંધી ગયો હતો. તેના પલંગપર માકણની હાર હતી, ચાદર મેલી થઈ ગઈ હતી, અને મેડીમાં વાસીદાનો કચરો એકઠો થયલો. સઉને ગાળો દેતો દેતો ડોસો નીચે ઉતર્યો અને રસોડે ગયો તો દુ:ખબા રસોઇ કરવા ન્હાઈ હતી અને સઉ તૈયાર જેવું હતું પણ શાક સમાર્યા વિના પડી રહેલું અને