રાજા અને પ્રધાનને નિદ્રાનો અવકાશ ધર્મ જ આપે છે. આજ બુદ્ધિધન
સ્વસ્થ અને ગાઢ નિદ્રામાં પડ્યો.
એ નિદ્રામાં પડ્યો તે વેળાએ પ્રમાદધન ઘેર આવ્યો ન હતો; આવવાનો ન હતો, અને પ્રાતઃકાળે સઉ ઉઠ્યા પણ એ આવ્યો ન હતો. લોકમાં તો અનેક વાતો ક્હેવાઈ સમુદ્રપર એક મડદું તણાતું દેખાયું હતું તે એનું ક્હેવાયું, કોઈ ક્હે એણે આપઘાત કર્યો, કોઈ ક્હે એને કોઈએ મારી નાંખ્યો, કોઈ ક્હે એ જતો રહ્યો. ગુપચુપ નિકટનાં સંબંધીયોમાં ત્રણ ચાર વાતો ક્હેવાઈ, કુમુદ પાછળ ઘેલો થઈ નાઠો ક્હેવાયો; એના ઉપર વ્હેમાઈ એનું ખુન કરવા, વેરનો માર્યો, ગયો, ક્હેવાયો. નવીનચંદ્રને મારવા ગયો ક્હેવાયો. પિતાની પાસેથી મળવાની શિક્ષાના ભયથી તેમ લજજાથી પણ ગયો ક્હેવાયો. એનું ખરેખરું શું થયું છે તે ઈશ્વર જાણે. “એ પુત્ર શોધી ક્હાડવા યોગ્ય નથી – ગયો તો ભલે” – “મ્હારે એનું કામ નથી”-“ જીવતો હો કે મુવો હો તે મ્હારે મન એક જ છે” – “ હું તો એનું સ્નાન કરી નાંખું છું”- ઈત્યાદિ વચન પુત્રના સંબંધમાં બુદ્ધિધને કહ્યાં ક્હેવાયાં.
વાંચનાર ! સુવર્ણપુરમાં હવે રહેલાં માણસોની કર્મકથા આથી આગળ જાણવાનું આપણે શું પ્રયોજન છે ? આટલું જાણવું બસ છે કે – ' एतद्वि परिभूतानां प्रायश्चितं मनखिनाम. . [૧]
- ↑ “પરિભવ પામેલા મનસ્વી જનેતાનું પ્રાયશ્રિત્ત આવું જ છે."
સુંદરગિરિ અને સુરગ્રામ અનેક ધર્મ અને પંથવાળાઓનાં પ્રિયસ્થાન થઈ પડ્યાં હતાં. ત્યાંનાં મંદિરો, મઠો, વગેરેની સંખ્યાં આ પ્રિયતાનું સ્પષ્ટ પ્રમાણ છે. ભરતખંડી આર્યોના ધર્મમાત્રના દેહમાં જ્ઞાન, યોગ, કર્મ, અને ભક્તિ એ ચારમાંનાં એક અથવા અનેક પ્રાણરૂપે સ્ફૂરે છે, અને એ સર્વ જાતના પ્રાણથી પ્રવર્તતા ધર્મ આ સ્થળે જુદે જુદે કાળે હતા અને તેમનાં સ્મરણસ્તુપ [૧] રૂપે મન્દિરો સુંદરનાં
- ↑ ૨. Monuments, સ્મરણાર્થ ઉભી કરેલી ઈમારતો.