મધુ૦ – “હું તો ભુલી ગઈ છું.”
મણિરાજ - “ ભુ…….લી....જા...ય ! બોલી દે - રાણીજી રોજ તને જુઠી કહે છે."
મધુ૦ – “એ તો એમનું જુઠું ખાઉં માટે જુઠી ક્હે છે.”
મણિરાજ – “વારું, બોલ તો ખરી !”
મધુ૦ – “ શું બોલું ? જરા સંભારી આપો તો બોલું.”
મણિરાજ – “પેલું - લાકડાના ઘોડાને ઠેકાણે ખરો ઘોડો ને એવું બધું.”
મધુમક્ષિકા હસવા લાગી. – “હા, હા, મહારાજ, કુમારને આપની પાસે બોલી કરી આણેલા છે.”
મણિરાજ – “તે બોલી શી તે ક્હે ને ?”
જરાશંકર એટલામાં આવ્યો અને પાસે બેઠો. કુમારને ખોળામાં લીધો.
જરાશંકર – “મહારાજ, કુમારશ્રીને શું પુછવા માંડ્યું છે ?”
મલ્લરાજ – “કુમાર આજથી માતાજીનું મન્દિર છોડી આપણી પાસે આવ્યા છે તે બોલી કરીને આવ્યા છે.”
જરાશંકર – “હે કુમાર ! શી બોલી કરી છે ?”
મણિરાજ – “આજથી મ્હારા લાકડાના ઘોડાને ઠેકાણે હવે મને ખરો ઘોડો આપવાનો.”
જ૨ાશંકર – “બીજું કાંઈ ?”
મણિરાજ – “હવે મ્હારે રમવાનું મુકી દેઈ ઘોડે ચ્હડવાનું, પટા રમતાં શીખવાનું, ને બઈરાંને મુકી મહારાજની અને પ્રધાનજીની સાથે ફરવાનું ને દરબાર ભરાય તેમાં આવવાનું.” .
જરાશંકર – “કેમ મધુમક્ષિકા, આવી બોલી કરી છે ?”
મધુ૦ - “હ! જી.”
મણિરાજ – “હવે હું મહારાજની સાથે જમવાનો.”
જરાશંકર – “એમાં તો મહારાજની આજ્ઞા જોઈએ.”
મણિરાજ – “તે તમે અપાવો કે મધમાખ અપાવે. હું નહીં માગું.”
જરાશંકર – “પિતાજીની પાસે તો માગવી પડે.”
મણિરાજ – “માતાજીએ કહ્યું છે કે ક્ષત્રિયો માગે નહીં.”
જરાશંકર – “ત્યારે જોઈતું હોય તે શી રીતે મેળવે ?”
મણિરાજ – “જાતે મેળવે, બળે મેળવે, તરવાર વડે મેળવે.”