પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૯
"एकोऽहमसहायोऽहमेकाकी विजने वने ।
इत्येवंविविधा चिन्ता मृगेन्द्रस्य न जायते ।"[૧]

પળવાર નિદ્રામાં પડી જ બોલ્યો:-

“ઈંગ્રેજોની સાથે હું જોડાયો –હવે – अङ्गीकृतं सुकृतं सुकृतिनः परिपालयन्ति.”

રાજાના મનની ભોમીયણ રાણીએ, આજ્ઞાનો ભંગ ન ગણી બારીમાં છાની દૃષ્ટિ કરી, રાજાને જોઈ લીધો. તેને નિદ્રાવસ્થ જોઈ પોતે પોતાને કૃતકૃત્ય સમજતી ચોકમાં પૃથ્વીપર ગાઢ નિદ્રાને વશ થઈ.

આ પ્રસંગ પછી એક વર્ષ વીતી ગયું. રત્નનગરીની પાડોશમાં વીરપુરનો વૃદ્ધ રાણો ગુજરી ગયો અને તેની ગાદી ઉપર તેનો યુવાન પુત્ર ખાચર બેઠો. ખાચરના પિતાને મલ્લરાજ સાથે મિત્રતા હતી, અને ઉભયના સામાન્ય શત્રુઓ સામે ટક્કર ઝીલવામાં રત્નનગરીની અને વીરપુરનાં રાજ્ય ભેગાં ર્‌હેતાં. આ પ્રસંગોમાં રત્નગરીના રાજાઓ પોતાનું સંસ્થાન સુસંબદ્ધ સમીપ અને સુઘટિત રાખવામાં અને દૂરનો પ્રદેશ ઉપર લોભ ન રાખવામાં સંતોષ માનતા અને પોતાના ભાયાતો તથા ગ્રાસીયા દૂર દેશમાં પરાક્રમ દર્શાવી જુદા ગ્રાસ મેળવવા પ્રયત્ન કરે તેમને સાહાય્ય આપતા અને તેમની વૃત્તિઓને બહિર્મુખ કરવામાં સાધનભૂત થતા ત્યારે વીરપુરના રાજાઓ પોતાના રાજ્યને ભાયાતોની તૃષ્ણાને વશ ર્‌હેવા દેઈ દૂરના પ્રદેશો ઉપર જાતે ફાળ ભરવામાં આનંદ માનતા. ઈંગ્રેજી રાજ્યનો હાથ આ તૃષ્ણાનાં સાધનભૂત યુદ્ધોની આડે આવ્યો અને તૃષ્ણા શમી નહી. ભાયાતોનો ઉન્માદ શત્રુઓનાં શિર ઉપરથી અસ્ત થઈ રાજ્યની ગાદી આગળ ઉદય પામવા લાગ્યો. આ સર્વનું ફળ એ થયું કે પૃથ્વીની તૃષાથી કુદી રહેલા યુવાન અને ઉત્કટ ખાચરે આજ સુધી બન્ધુજન પેઠે રહેલાં પાડોશનાં રાજ્યોની પૃથ્વી વગરયુદ્દે પચાવી પાડવાના માર્ગ શોધ્યા અને તેમ કરવામાં પોતાને કનડતા ભાયાતોને સાધનભૂત કરી પોતાને ખાવા આવતાં કુતરાનાં ટોળાં પડોશીઓ ઉપર છોડ્યાં. વીરપુરના ગ્રાસીયા લોક પોતાના રાજાને નામે ચારે પાસની જમીન પચાવી પાડવા લાગ્યા, અને તેમના તથા તેમના રાજા ખાચર સામે નવા પોલીટીકલ એજંટને ત્યાં આસપાસ રાજ્યોમાં ફરીયાદીઓ થવા માંડી. પોતે જ સર્વને હેરાન


  1. ૧. આ વિજય વનમાં હું એક છું, અસહાય છું; એકલો છું – એવી ચિંતા સિંહરાજને થતી નથી.