પૃષ્ઠ:Saraswati Chandra Part 3.pdf/૨૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૭

આપણા ઘરના ગઢ છો અને એ ગઢ તુટશે ત્યારે તેમાંનાં તમારાં અમ જેવાં ઢોર અને બીજું જે પવિત્ર ધન હશે તેને લોક લુટશે તેટલાં લુંટાશે.”

“ગુણસુંદરી ! તમારાં આ વચન સાંભળવાનું મને મન થયું હતું માટે આટલું ક્‌હેવડાવ્યું. ઘરડાઓ ગુણમાં ઘાલેલા બોલે તે તમે સમજો છો; પણ હવેના કાળમાં તો જુવાનીયા વાજુ જેવું બદલાયું છે તેમ જ ઘરડાઓની ગત ગઈ છે એટલે તમારું ક્‌હેવું જ્યાં જોશો ત્યાં ખોટું પડશે. બાકી આપણા ઘરમાં તો એવું કહું તો જવાનમાં મ્હારાં છોકરાં તમે બધાં, અને ઘરડાંમાં હું જાતે, તે આપણામાં જ એવો કાળ બદલાઈ કળજુગ બેઠો કહું તો આપણને પોતાને જ ગાળ પડે ! માટે આપણા ઘરમાં તો એ કાળનો વા વાયો જ નથી. પણ કાલનો વિશ્વાસ નહી તો આજનો કેમ થાય ? માટે આરબો ઉમરે રાખીશું અને હું તો જીવું ત્યાં સુધી છું સ્તો !" આમ બોલતો બોલતો માનચતુર હસવા લાગ્યો અને ગુણસુંદરીને બીજી વાતમાં નાંખી.

આણી પાસ વિદ્યાચતુરના ઘરમાં ન ફાવેલો મુળુ પોતાના ઉપર ખીજવાતો અને મનમાં બડબડતાં બડબડતો નગર બ્હાર પોતાનો બાગ હતો તે દિશામાં ચાલ્યો, ગુણસુંદરીએ પોતાના કરતાં વધારે ચકોરપણું બતાવ્યું જોઈ સ્ત્રીજાતિને હાથે પોતે હાર્યો તેનું એને ઘણું હીન પદ લાગ્યું. મ્હારું છિદ્ર વિદ્યાચતુર, જરાશંકર, અને મહારાજ જાણશે એ ભયથી તે કંપવા લાગ્યો. માનચતુર જેવા વૃદ્ધ બ્રાહ્મણને હાથે તિરસ્કાર ગળી જવો પડ્યો તે વિચારથી તે અસ્ત થયો. આ સર્વ વિચાર કરતો કરતો એ ચાલ્યો જાય છે એટલામાં માર્ગની એક પાસ એક હાટ આવ્યું. ત્યાં આગળ એક બ્રાહ્મણ રાગ ક્‌હાડી ગાતો હતો અને તેની આસપાસ લોક એકઠા થયા હતા, પોતાના મ્લાન ચિત્તને કંઈક વિનોદ મળે એ આશાથી મુળુ લોકના ટોળામાં ભળ્યો.


“પુરુષને અબળા ક્‌હેવાતી નચાવે,
“રાણીજાયાપાસે એ પાણી ભરાવે,
“ જોજો, લોક, કૌતુક કળજુગનાં એ !